આજકાલ
પ્રૌઢોનો સાથી કમ્પ્યૂટર એ બાળકો અને યુવાનોનું છે. વડીલો અને બુઝર્ગો એ બાબતમાં સાવ નિરક્ષર જેવા છે, એવી માન્યતા આજે ચોતરફ જોવા મળે છે ત્યારે આંધ્ર પ્રદેશના સિકંદરાબાદમાં વસતા ડૉ. પદ્મનાભ વ્યાસમૂર્તિએ આને ખોટી ઠેરવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. એમણે વડીલો અને બુઝર્ગો માટે એક ઓન લાઇન ચર્ચા કરનારું ગુ્રપ ઉભું કર્યું અને એમાં ૫૩૫ જેટલા સીનીયર સીટીઝનો જોડાયા. આજે જુદા જુદા ટોપીક પર આ વડીલો પોતાના અભિપ્રાયો લખે છે અને ચાર વર્ષ પહેલાં યાહૂએ સીનીયર સીટીઝન માટે સૌથી વઘુ ચર્ચાઓ ધરાવતા ફોરમ તરીકે ડૉ. પદ્મનાભના ગુ્રપને ગણાવ્યું હતું. વિશ્વના આવા સીનીયર સીટીઝન માટેના તેરસો ગુ્રપોમાંથી પસંદગી પામેલા વાયબ્રન્ટ ગુ્રપોમાં પદ્મનાભે સાતમો નંબર મેળવ્યો હતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી પદ્મનાભ સીનીયર સીટીઝનની કલબમાં જઇને એમને કમ્પ્યૂટર શીખવવાના વર્ગોનું આયોજન કરે છે, એટલું જ નહીં પણ જુદા જુદા સીનીયર સીટીઝનના મંડળને આવરી લેતું ‘બ્લેઝીંગ ટવાઈલાઇટ’ નામનું ન્યૂઝ લેટર પણ ચલાવે છે, જેમાં સીનીયર સીટીઝનોના એસોસિયેશનને જુદી જુદી માહિતી આપે છે. પદ્મનાભ દર અઠવાડિયે પોતાની સાઇટને અપ-ડેટ કરે છે અને વઘુ ને વઘુ વયોવૃઘ્ધોને એ કમ્પ્યૂટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજી સાથે સાંકળવા પ્રયાસ કરેછે. પોતાના આ કામને માટે સત્યમ કમ્પ્યૂટર જેવી જાણીતી કંપનીમાંથી રાજીનામું આપીને પદ્મનાભ કમ્પ્યૂટર- શિક્ષિત પ્રૌઢો તૈયાર કરીને એને એમના જીવનમાં એક નવો વિચારવંત સાથી આપવા માગે છે. સીમા વિનાનું સંગીત ભારત અને પાકિસ્તાનને એક કરી શકે તેવી કોઈ બાબત હોય તો તે કવિતા અને સંગીત છે. ગઝલ જેટલી ભારતમાં હૃદયસ્પર્શી બને છે એટલી જ પાકિસ્તાનમાં હૃદયદ્રાવક બને છે. પાકિસ્તાનની ગઝલ ગાયિકા ફરીદા ખાનુમ કહે છે કે આ બંને દેશો વચ્ચેના ભેદ નિરર્થક છે. હૃદયથી તો તે એક જ છે અને તેનું ઉદાહરણ સ્વયં ફરીદા ખાનુમ છે. પાકિસ્તાનની આ શ્રેષ્ઠ ગઝલ ગાયિકાએ અમૃતસર અને કોલકાતામાં પોતાના શિક્ષણનો પ્રારંભ કર્યો. પતિયાળા ઘરાનાના ઉસ્તાદ આશિકઅલી ખાન, ઉસ્તાદ બડે ગુલામ અલીખાન અને એમના નાના ભાઈ ઉસ્તાદ બરકત અલીખાન પાસે ફરીદાએ તાલીમ મેળવી. બેગમ અખ્તરનો ફરીદા પર મોટો પ્રભાવ. ફરીદા ફૈઝ અહમદ ફૈઝ, આગા હશર કાશ્મીરી અને સૂફી તબ્બસુમની ગઝલો હોંશે હોંશે ગાય છે, પરંતુ એમાં પણ સિત્તેર વર્ષની ફરીદા આજે જયારે ફૈઝસાહેબની ગઝલો ગાય છે ત્યારે એનો અંદાજ જુદો હોય છે. ભારતમાં એ સતત સંગીતની મહોબ્બતનો અનુભવ કરે છે અને છેલ્લાં પચીસ વર્ષથી રવિશંકર, હરિપ્રસાદજી અને અમજદઅલી ખાનના સંગીતને માણે છે. એમની શકિતને ફરીદા દૈવી શકિત કહે છે અને સૌથી વઘુ તાજુબ તો એ લતા મંગેશકરની બાબતમાં થાય છે. પાકિસ્તાનના ઉગતા ગાયકોને ફરીદા સતત એ વાત કરે છે કે એમણે લતા મંગેશકર જેવી સંગીતની તાલીમ લેવી જોઈએ. આજે પાકિસ્તાનના લાહોરમાં સારા એવા ગાયકો છે અને ફરીદા માને છે કે બંને દેશના ગાયકો પરસ્પર આદાન-પ્રદાન કરશે તો અદ્ભુત અનુભૂતિ તશે. વળી એના દિલને એવો અહેસાસ છે કે કદાચ થોડો સમય વીતશે, પરંતુ અંતે તો બંને એક દેશ બનશે અને એક જ પ્રજા હશે. આથી જ ફરીદા કહે છે કે પ્રત્યેક પ્રવાસ માટે ભારતના વીઝા લેવા પડે છે. એને બદલે પાંચ વર્ષના વીઝા એક સાથે અપાતા હોય તો એને વારંવાર ભારત આવવાની અનુકૂળતા રહે. |