મુંબઇ હુમલા અંગે પાકે. પૂરતાં પગલાં લેવા પડશે ઃ ચિદમ્બરમ
(પીટીઆઈ) ઇસ્લામાબાદ, તા. ૨૬ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમે આજે કહ્યુંકે ‘મુંબઇ હુમલા’માં સંડોવાયેલાઓ સામે પાકિસ્તાન વઘુ પગલાં ભરે તેવી અપેક્ષા ભારત રાખે છે અને તેમના સમકક્ષ રેહમાન મલીક સાથે બેઠક કર્યા પછી તે મામલામાં ‘સકારાત્મક પરિણામ’ આવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ૨૬/૧૧ના કાવતરા બદલ પડદા પાછળના ખેલાડીઓ સામે કાનૂની કાર્યવાહી થશે તો જ વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે મલીક સાથેની પોતાની મુલાકાત અંગે પત્રકારોને માહિતી આપતા તેમણે કહ્યું કે ભારત એવું માને છે કે હુમલા પાછળ વઘુ વ્યક્તિઓ હતા અને વઘુ વ્યક્તિઓ સામે કામ ચલાવવુ જોઇએ. તેમણે કહ્યું કે ‘અમે જાણીયે છે કે સાત વ્યક્તિઓ સામે કામ ચાલે છે. તેમાં કેટલી પ્રગતિ થઇ છે, તે પાકિસ્તાની સરકાર કહી શકશે.’ તેમણે એ વાત પર પણ ઘ્યાન દોર્યું કે લશ્કર-એ-તૈયબાના વડા ઝાકીઉર રહેમાન લખવી સહિત સાત વ્યક્તિઓ સામે અદાલતી કાર્યવાહી ચાલતી હતી. તેમાં સાત દિવસ પછીની તારીખ પડી છે. ‘અમારા માનવા પ્રમાણે હુમલા પાછળ વઘુ લોકો સંડોવાયેલા હતા અને વઘુ લોકો સામે કામ ચલાવવું જોઇએ. અમે પાકિસ્તાની સરકાર સાથે તે મુદ્દો સ્પષ્ટ કર્યો છે, અને જેમ મેં કહ્યું છે, તે રીતે હું રેહમાન મલીક સાથેની મુલાકતના પરિણામ વિષે સકારાત્મક રહેવા માગુ છું.’ ગૃહપ્રધાને કહ્યું. ચિદમ્બરમ છેલ્લા ત્રણ દશકામાં પાકિસ્તાનની મુલાકાતે ગયેલા પહેલા ભારતીય ગૃહપ્રધાન છે અને અત્રે ઇન્ટીરયર મંત્રાલય ખાતે રેહમાન મલીકને મળીને મુંબઇ હુમલાનો ‘માસ્ટરમાઇન્ડ’ જેયુડીનો હાફિઝ સઇદ સામે પગલા લેવાની તેમણે માગ કરી હતી. દરમિયાન મુંબઇ-૨૬/૧૧ હુમલાનો દોરી સંચાર કરનારાઓના અવાજના નમુના આપવાની અને ભારતને અન્ય કોઈ પણ પ્રકારનો સહકાર આપવા પાકિસ્તાન તૈયાર છે, એવા સંકેત આજે પાકિસ્તાને આપ્યા હતા. જ્યારે રેહમાન મલીકને પુછવામાં આવ્યું કે મુંબઇ ૨૬/૧૧ના હુમલાનો દોરીસંચાર કરનારાઓના અવાજના નમુના પાકિસ્તાન સોંપશે કે કેમ, તે પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુંકે ‘તમે જેનો ઉલ્લેખ કરો છો, તે ઉપરાંત અમે બધી સંભવિત મદદ કરીશું.’ ગયા સપ્તાહમાં પાકિસ્તાનને સોંપવામાં આવેલા ડોઝિયરમાં ભારતે અવાજના નમુનાની માગ કરી હતી અને ચિદમ્બરમે મલીક સાથેની બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હોવાનું માનવામાં આવે છે. રેહમાન મલીકે કહ્યું ઃ જે રીતે આ બાજુ અમે ષડયંત્રકારીઓને અને તેમના મદદગારોની સામે અદાલતી કાર્યવાહી કરી રહ્યા છે તે જરીતે ત્રાસવાદીઓ સામે કોર્ટમાં કામ ચલાવામાં અમે તેમની મદદ કરીશું હું કોઈ પણ સહકાર અથવા મદદ આપવાનો ઇન્કાર કરતો નથી. |