ભાવવધારાના વિરોધમાં આજે, કાલે ભાજપનાં ધરણાં અમદાવાદ, શનિવાર પેટ્રોલ-ડીઝલ અને કેરોસીન તથા રાંધણગેસના ભાવોમાં કરાયેલા આકરા વધારા સામે ગુજરાત ભાજપ તમામ તાલુકા મથકો મહાનગરોમાં તા. ૨૭ અને ૨૮ જૂન એમ બે દિવસ દેખાવો-ધરણાં કરશે. દરમિયાન પક્ષ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે મહાનગરોમાં મોંઘવારીના વિરોધમાં રેલી-ધરણાં યોજી પૂતળાદહન કાર્યક્રમો યોજ્યા હતા. અમદાવાદમાં ઇન્કમટેક્સ સર્કલ પાસે ભાજપના કાર્યકરોના દેખાવો ભાજપના પ્રવક્તા આઈ.કે.જોડાજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે વારંવાર ભાવવધારો કરી કેન્દ્રની કોંગ્રેસ સરકાર પ્રજાની સહનશીલતાનો દુરુપયોગ કરી રહ છે. ગઇકાલે ફરીવાર ભાવવધારો કરી પડતાપર પાટુ મારવાનો પ્રયાસ કર્યો છે. ભાવવધારાના વિરોધમાં અમદાવાદમાં શહેર ભાજપ પ્રમુખ રાકેશ શાહની આગેવાની હેઠળ ઇનકમટેક્સ સર્કલ નજીક કાર્યકરોએ દેખાવો યોજ્યા હતા. આ ઉપરાંત સુરત, વડોદરા, રાજકોટમાં સ્થાનિક સાંસદો પક્ષના અગ્રણીઓની આગેવાનીમાં પક્ષ દ્વારા દેખાવો, ધરણાં યોજાયાં હતાં. |