બે પરિવારોને બરબાદ કરી નાંખનાર
વ્યાજખોરો સામેની તપાસ અંતે ક્રાઈમ બ્રાંચને સોંપાઈ
અમદાવાદ, શુક્રવાર
મંદીના સમયમાં ટૂંકા ગાળા માટે તરલ નાણાંની જરૂરિયાત પૂર્ણ કરવા ઊંચા વ્યાજે આસાનીથી મળતા નાણાં લઈને ફસાયેલા અનેક ધંધાર્થીઓ અને પરિવારો વ્યાજખોરોથી ત્રસ્ત છે. છેલ્લા પંદર જ દિવસમાં વ્યાજખોરોના ત્રાસથી બે પરિવારો બરબાદ થવાની ઘટનામાં એલીસબ્રિજ પોલીસની કામગીરી અંગે શંકા-કુશંકાઓ બાદ તપાસ અંતે ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.
એલિસબ્રિજ પોલીસની કામગીરી સામે આક્ષેપો અને અસંખ્ય ફરિયાદો મળતાં લેવાયેલો નિર્ણય
અમદાવાદના એલીસબ્રિજના અજીતનાથ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી અવનિશ પટેલે તેમના માતા, પત્ની અને પુત્રની હત્યા કરી તા. ૧૬ જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. સ્યુસાઈડ નોટમાં ગિરીશ સંઘવીએ શેરબજારમાં રોકાણો કરાવતા મોટું નુકશાન જતા તેમજ વ્યાજે પૈસા લીધા હતા તેવા વ્યાજખોરો રમેશ દેસાઈ, નલીન સોલંકી, મહાવીર, નવીનભાઈ અને ઓઢવના દદ્દુ નામના શખ્સોના ત્રાસથી આ પગલું ભર્યાનું જણાવ્યું હતું. એલીસબ્રિજ પોલીસે આ કેસમાં ફરિયાદ મોડી નોંઘ્યા પછી વ્યાજખોરો સામે કાર્યવાહી ન કરતાં અનેક આક્ષેપાત્મક ચર્ચાઓ શરૂ થઈ હતી.
આ ઘટના હજૂ ભૂલાઈ નહોતી ત્યાં એલીસબ્રિજના ભૂદરપુરામાં રહેતા બેન્ક કર્મચારી વસંતભાઈ ગોહીલે આત્મહત્યા કરી લીધી હતી. વસંતભાઈએ સ્યુસાઈડ નોટમાં ૧૨ વ્યાજખોરોના નામો લખ્યા હતા. એલીસબ્રિજ પોલીસે આ નામો અને મોબાઈલ નંબરોના આધારે તપાસ કરી ભરત વાણંદ નામના શખ્સની ધરપકડ કરી હતી અને પિતા-પુત્રની ધરપકડ કરી હતી.
વ્યાજખોરોના ત્રાસથી બે પરિવારો બરબાદ થઈ ગયાના બે ગંભીર કિસ્સામાં એલીસબ્રિજ પોલીસની કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની હતી. સાથોસાથ, આ બે ઘટનાઓ પછી ઉચ્ચ પોલીસ અધિકારીઓની અપીલથી વ્યાજખોરોના ત્રાસ અંગેની અસંખ્ય લેખિત ફરિયાદો આવી હતી. અંતે, વ્યાજખોરો સામેની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચના ડી.સી.પી. અભયસંિહ ચુડાસમાએ જણાવ્યું કે, આ બન્ને ફરિયાદો અંગેના કાગળો મગાવી અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. વ્યાજખોરી કરી પરિવારોને બરબાદ કરનારાંઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે. આ ઉપરાંત, ક્રાઈમ બ્રાંચને પણ વ્યાજખોરો સામેની અનેક અરજીઓ મળી છે. આ ફરિયાદો અંગે પણ અભ્યાસ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અહેવાલ રજૂ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.