home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

નસીરુદ્દીન શાહ - ફિલ્મ દિગ્દર્શન કરવામાં રસ નથી

પૂણે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં નસીરુદ્દીન શાહની ફિલ્મ ‘બારહ આના’ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ કરીને નસીરુદ્દીન ઘણા ખુશ છે. એક અભિનેતા તરીકે પોતે ફાલતુ સાબિત થયા નથી એનો ગર્વ પણ તેમના ચહેરા પરથી છૂપો રહેતો નથી.

રાજા મેનનની ફિલ્મ ‘બારહ આના’ સ્વીકારવાનું કારણ જણાવતા તેઓ કહે છે, ‘‘રાજા મેનનની દિગ્દર્શક તરીકેની આ પ્રથમ ફિલ્મમાં મારે એક પણ સંવાદ બોલવાનો ન હોવાને કારણ મેં આ ફિલ્મ સ્વીકારી હતી.’’

ફિલ્મ પસંદ કરવાના પોતાના નિયમો વિશે જણાવતા તેઓ કહે છે કે આ બાબતે તેઓ તેમના અંતરાત્માનો અવાજ સાંભળે છે. જોકે આમા પણ પોતે ઘણી વાર ગોથા ખાઈ ગયા હોવાનું તેઓ કબૂલે છે. આ બાબતે પોતાનો બચાવ કરતા તેઓ કહે છે, ‘‘કોઈ પણ કલાકારને ફિલ્મ છેવટે કેવી બનશે એનો આઈડિયા હોતો નથી. કેટલીક ફિલ્મો સારી માનીને મેં તેમાં કામ કર્યું હતું, પરંતુ એ ફિલ્મો બકવાસ સાબિત થઈ હતી. તો ઘણી વાર આથી ઊલટું પણ બની શકે છે.’’

સમાંતર સિનેમા પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કરતા આ ટેલન્ટેડ કલાકાર કહે છે, ‘‘સમાંતર સિનેમાની સૌથી મોટી કરૂણતા એ છે કે તે સમયે ચાલતી સ્ટાર સિસ્ટમથી આ ફિલ્મો તાજગી લાવવા માટેની હોવા છતાં એમા સ્ટાર સિસ્ટમે પ્રવેશ કર્યો છે.’’

નસીરુદ્દીન શાહ એક એવા કલાકાર છે જેમના અભિનયને હંમેશા પ્રશંસા મળે છે. કોઈ પણ પાત્રને તેઓ પૂરતો ન્યાય આપી શકે છે. પરંતુ દર્શકોની પ્રશંસાથી પોતે છકી જતા નથી એમ જણાવતા તેઓ કહે છે, ‘‘ના, મને નથી લાગતું કે કોઈ પણ કલાકારે પ્રશંસાને ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે, દર્શકો કોઈ કલાકારને વખાણે છે તો તેઓ પોતાના સપનાની તારીફ કરે છે, કારણ કે તેઓ તે એકટરને તેના પાત્ર સાથે સાંકળી લે છે. મારે એ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે દર્શકોએ ‘અ વેન્સડે’ તેમજ ‘ત્રિદેવ’માં મારા પાત્ર અને અભિનયને વખાણ્યો હતો અને એ કારણે મારે રાતોના ઉજાગરા કરવાની કોઈ જરૂર નથી.

‘અ વેન્સ ડે’ અને ‘બારહ આના’માં સમકાલીન મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. તેમજ બન્ને ફિલ્મ વાસ્તવિકતાને ઘ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને એને લાર્જર ધેન લાઈફનું સ્વરૂપ આપવામાં આવ્યું ન હોવાનો મત નસીરુદ્દીન વ્યક્ત કરે છે.

કારકિર્દી દરમિયાન નસીરુદ્દીન શાહે ઘણા નવોદિત દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. ફર્સ્ટ ટાઈમ દિગ્દર્શક સાથે કામ કરીને પોતે એક વિક્રમ સ્થાપ્યો હોવાનું તેઓ ગર્વથી કહે છે. જોકે આનો તેમને જરા પણ પસ્તાવો થતો નથી. તેઓ નિખાલસતાથી શબ્દો ચોર્યાં વિના જણાવે છે, ‘‘નવા દિગ્દર્શક સાથે કામ કરીને મને જરા પણ પસ્તાવો થયો નથી. ઉલટાનું કેટલાક અનુભવી દિગ્દર્શકો સાથે કામ કર્યું હોવાનું મને પસ્તાવો છે. આનું કારણ એ છે કે પ્રથમ ફિલ્મ દિગ્દર્શિત કરતા દિગ્દર્શકોમાં સફળતા મેળવતા પૂર્વે સારું કામ કરવાની ધગશ હોય છે. તેમની સાથે કામ કરીને ઘણું શીખવા માગે છે. રાજા મેનન સાથે કામ કર્યું હોવાનો મને સંતોષ છે.’’

નસીરુદ્દીન આર્ટ ફિલ્મના એકટર ગણાય છે. કર્મશિયલ ફિલ્મો કરતા તેમના નામ પર આર્ટ ફિલ્મો વઘુ ચઢી છે. આ સાંભળતા જ તેઓ કહે છે, ‘‘સમાંતર સિનેમા અને કર્મશિયલ સિનેમા વચ્ચે દોરાતી લીટીનો મને વિરોધ છે. મને લાગે છે કે એક સમયે આ રીતે ભાગ પાડવાથી કામ સરળ બનતું હતું. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ ઇન્ડસ્ટ્રીમાં દરેક જણને આમાના એક વર્ગમાં ફિટ કરી દેવામાં આવે છે, મારું માનવું છે કે માત્ર સારી અને ખરાબ ફિલ્મો જ હોય છે. ટેરિબલ ફિલ્મ પર પણ દુર્ભાગ્યે આર્ટ ફિલ્મોનું લેબલ લગાડવામાં આવે છે અને સારી ફિલ્મો કર્મશિયલ ફિલ્મોની યાદીમાં જતી રહી છે. મને લાગે છે કે દર્શકો આજે આવો તફાવત કરતા નથી. જો તેઓ કર્મશિયલ અને આર્ટ ફિલ્મોે વચ્ચે ભેદભાવ કરતા હોત તો ‘વેન્સડે’ જેવી ફિલ્મો બોક્સ ઓફિસ પર આટલી સારી સફળતા મેળવી શકત નહીં.’’

‘ત્રિદેવ’માં ‘ઓયે ઓયે...’ અને ‘મોહરા’માં ‘તુ ચીઝ બડી હૈ...’ જેવા ગીતો પર નૃત્ય કરનારા નસીરુદ્દીનને હિન્દી ફિલ્મોમાં ગીત અને ડાન્સ સિકવન્સ પસંદ નથી. જોકે ‘ઓમ શાંતિ ઓમ’ ગમી હતી, કારણ કે આ ફિલ્મ કર્મશિયલ હંિદી ફિલ્મોને પ્રેમ કરનારી વ્યક્તિએ બનાવી હતી.

તેમને દરેક પ્રકારની દરેક જાૅનરની ફિલ્મો ગમે છે, પરંતુ આમા માત્ર પૈસા બનાવવાની લાલચ સાથે બનાવેલી ફિલ્મોે પ્રત્યે તેમને તિરસ્કાર છે. ‘વેન્સડે’ જેવી ફિલ્મો કરી હોવાનો ક્યારે પણ પસ્તાવો થશે નહીં, કારણ કે આ ફિલ્મ એક સદી પછી પણ લોકો જોશે અને તેને બિરાદાવશે એવો તેમને વિશ્વ્વાસ છે.

દિગ્દર્શનનો કડવો અનુભવ થયા પછી ભવિષ્યમાં પાછું દિગ્દર્શન કરવાની હંિમત કરશે ખરા? આ પ્રશ્વ્નના ઉત્તરમાં નસીર કહે છે, ‘‘આજે હું વિચાર કરું છું. તો મને લાગે છે કે અમુક સિકવન્સોમાં હું ઘણો નબળો હતો, આ હકીકત હું સ્વીકારું છું. નિર્માતાને ખુશ કરી તેમજ ડિસ્ટ્રીબ્યુટરોને મસ્કા મારી દુઃખી થવાની વાત મારા મગજમાં બેસતી નથી. આથી હું ફિલ્મ કરતા સ્ટેજ પર દિગ્દર્શન કરવું વઘુ પસંદ કરીશ.’’

Copyright   © Gujarat Samachar