વીરપુરમાં
પાણીની ટાંકીના પ્રશ્ને બે કોમના પરિવારો બાખડ્યા
નડિયાદ,
તા. ૫
વિરપુરમાં આવેલા લીમડા
ભાગોળ વિસ્તારમાં બે કોમના પરિવારો વચ્ચે અથડામણ સર્જાતા વાતાવરણ તંગ બન્યું હતું.
પાણીની ટાંકી કાણી કરવા બાબતે લાકડીઓ અને ડંડા વડે હુમલા કરતા કેટલાકને ઈજાઓ પહોંચી
હતી. જ્યારે એક દુકાનમાં તોડફોડ મચાવી હતી.
લીમડા
ભાગોળે ટાંકી કાંણી થવા બાબતે ઠપકો આપતા વાત વણસી ઃ ઇજાઓ થતાં સામસામી ફરિયાદો
આ
બનાવની જાણ થતા ડી.વાય.એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને
બંને પરિવારના કેટલાક માણસો સામે એટ્રોસિટી તથા રાયોટીંગ ધારા અન્વયે ગુનો
નોંધી તપાસ હાથ ધરી છે.
વિરપુર
ખાતેના લીમડા ભાગોળ વિસ્તારમાં આવેલા મકવાણા વાસમાં રમેશભાઈ જેઠાભાઈ મકવાણા પોતાના
પરિવાર સાથે વસવાટ કરે છે. બે દિવસ અગાઉ તેમના વિસ્તારમાં કેટલાક છોકરાઓ રમતા
હતા, ત્યારે કોઈએ પથ્થર મારતા પાણીની ટાંકી કાણી થઈ ગઈ હતી. જેમાંથી પાણી નીકળતું
હતું. આથી આ બાબતે રમેશભાઈ અને તેમના ઘરના સભ્યોએ નજીકમાં જ રહેતા ફારુકભાઈ સુબરાતીભાઈ
લુહારને ઠપકો કર્યો હતો. આથી બંને પરિવારો વચ્ચે તકરાર થઈ હતી. અને જોતજોતામાં
આ તકરાર અથડામણમાં પરિણમી હતી. બંને પરિવારના ફારુકભાઈ લુહાર અને રમેશભાઈ મકવાણાના
પરિવારો લાકડીઓ અને ડંડા લઈને સામસામે આળી ગયા હતા. અને એકબીજા પર હુમલો કરતા
રમેશભાઈ તથા તેમના પુત્રવઘુ સાથે અન્ય કેટલાકને ઈજાઓ પહોંચી હતી. આ ઝઘડા દરમ્યાન
ટોળું એક દુકાનમાં ધુસી ગયું હતું, અને ત્યાં તોડફોડ મચાવી બંને જુથના લોકોએ
પથ્થરમારો કર્યો હતો. અને બુધવારે રાત્રે ૮ વાગે બનેલી આ કોમી અથડામણના પગલે
નગરનું વાતાવરણ તંગ બન્યું હતું.
દરમ્યાન
આ બનાવ અંગે રમેશભાઈ મકવાણાએ વિરપુર પોલીસ મથકે નોંધાવેલી ફરીઆદના
આધારે પોલીસે ફારુકભાઈ સુબરાતીભાઈ લુહાર, યાસીન ઐયુબભાઈ, જાકીર યાસીનભાઈ તેમજ
યાસીન, ઐયુબ અને યુસુફના દીકરાઓ સામે એટ્રોસિટી તથા રાયોટીંગ હેઠળ કાર્યવાહી
હાથ ધરી છે. જ્યારે સામા પક્ષે યાસીન સુબરાતીભાઈ લુહારે ફરીઆદ નોંધાવતા
પોલીસે રમેશભાઈ જેઠાભાઈ મકવાણા સહિત ચીમન લાલાભાઈ, દિનેશ લાલાભાઈ, અર્જુન જયંતિભાઈ,
જિતેન્દ્ર જયંતિભાઈ, હસમુખ બાબુભાઈની સાથે બીજા પંદરથી વીસ માણસોના ટોળા સામે
રાયોટીંગ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાની જાણ આણંદ એસસીસ, એસટી
સેલના ડી.વાય.એસ.પી. બલોતને થતા તેઓ પોલીસકુમક સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ ઘટનાના પગલે વિરપુર નગરમાં તંગદિલી વ્યાપી છે.