home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > પૂર્તિ

ફિટનેસ

‘‘એજંિગ પ્રોસેસ’’ એટલે શું?

જેમ નવું મકાન જૂનું થાય અને તેના બધા જ ભાગો વાતાવરણની અસરથી જૂના થતા જાય અને જેવું તેનું બાંધકામ તે પ્રમાણે વહેલું કે મોડુ નાશ પામે તે જ રીતે પરમેશ્વરે બનાવેલા શરીરના અંદરના ફેરફારો અને બહારના વાતાવરણથી શરીરનાં અંગોનો ઉંમર પ્રમાણે ફેરફાર થતો જાય તેને ‘એજંિગ પ્રોસેસ’ કહેવાય. ‘‘જે જન્મે તેનો નાશ નિર્વિવાદ છે’’ એ ન્યાયે આપણા સૌના શરીરનો નાશ તે એક નિવારી ના શકાય તેવી હકીકત છે. જન્મ-મૃત્યુનું ચક્ર શાશ્વત છે. આ ચક્ર સતત ચાલતું રહે છે. તમે તેને તદ્દન બંધ કરી ના શકો પણ એને ધીમું પાડી શકવાનું તમારા હાથમાં છે. આમ કરવા માટે જીવનશૈલીના થોડા ફેરફાર અને થોડું ખોરાકનું ઘ્યાન જ રાખવાની જરૂર છે. આ બઘું જાણવા પહેલાં તમારે શરીરનાં જુદાં જુદાં અંગો અને તેના ‘એજંિગ પ્રોસેસ’ વિષે જાણવું પડશે.

૧. ચામડી ઃ ચામડીને ચુસ્ત રાખનારા ‘કનેક્ટીવ ટીસ્યુ’ છે. આ કનેક્ટીવ ટીસ્યુને તંદુરસ્ત રાખનારા ‘કોલેજન’ અને ‘ઈલેસ્ટીન’ નામના પદાર્થો છે. જેમ જેમ ઉમર થાય તેમ આ બન્ને પદાર્થો ધીરે ધીરે ‘ડીજનરેટ’ (નાશ પામવા) થવા માંડે અને આને લીધે ચામડી ઢીલી પડે. તેમાં કરચલી પડે, તેમાં સફેદ અને કાળા ડાઘા પડે. ચામડીની ચમક જતી રહે.

૨. સ્નાયુ ઃ જેમ ઉમર થાય તેમ તમારા શરીરના સ્નાયુઓ સંકોચાય. ઢીલા થાય અને તેની ‘એકસ્પાન્ડ’ (લાંબા થવાની) અને ‘કોન્ટ્રાક્ટ’ થવાની ક્રિયા ઢીલમાં પડે. ૨૫ વર્ષની ઉમરે તમારા સ્નાયુની સંકોચાવાની અને લાંબા થવાની ક્રિયા જેટલી સરળતાથી અને ઝડપથી થતી હતી તે મોટી ઉંમરે ના થઇ શકે.

૩. હાડકાં ઃ જેમ જેમ ઉમર વધતી જાય તેમ હાડકા ઉપર કેલ્શ્યમ જામવાની ક્રિયા ધીમી પડે અને હાડકાં પોલાં થાય, જેને ડોકટરો ‘ઓસ્ટીઓપોરોસીસ’ કહે છે. આ વખતે હાડકાં પાતળાં થઇ જાય અને બરડ (જલદી તૂટી જાય તેવા) બની જાય. આવું કરતાં સ્ત્રીઓમાં વધારે થાય.

૪. જ્ઞાનેન્દ્રિય ઃ પાંચ જ્ઞાનેન્દ્રિયો ૧. આંખ (ચક્ષુઈન્દ્રિય) ૨. નાક (ઘ્રાણેન્દ્રિય) ૩. કાન (શ્રવણેન્દ્રિય) ૪. જીભ (સ્વાદેન્દ્રિય) ૫. ચામડી (સ્પર્શેન્દ્રિય) આ બધી જ ઈન્દ્રિયો નબળી પડે.

(એ) આંખ ઃ ૪૦ વર્ષ પછી આંખની જોવાની ક્રિયા નબળી પડે. નજીકનાં ચશ્માં પહેરવાં પડે. આંખની પૂરતી સંભાળ ના લીધી હોય તો નાનપણથી દૂરનાં ચશ્માં પહેરવાં પડે.

(બી) કાન ઃ ૫૦ વર્ષે કાનમાં જ્યારે તમરા બોલે અથવા પડઘા પડે તો સમજી લેશો કે કાનની સાંભળવાની શક્તિ ૫૦ ટકા જ રહી.

(સી) નાક ઃ નાકની સૂંઘવાની શક્તિ ૪૦ વર્ષ પછી ઓછી થતી જાય. સારી કે ખરાબ વાસની ખબર ના પડે.

(ડી) જીભ ઃ સ્વાદની ઈન્દ્રિય ૬૦ વર્ષ પછી ઓછી થતી જાય. પાંચ રસો (ગળ્યો, ખારો, ખાટો, તૂરો, કડવો) પારખવાની શક્તિ જતી પણ રહે. કોઇપણ સ્વાદની ખબર ના પડે.

(ઈ) ચામડી ઃ એક સ્ક્વેર ઈંચમાં ૧૨૦૦થી પણ વધારે છિદ્રો (રોમ) ધરાવતી અને શરીરને બહારથી પૂરેપૂરું કવચ આપતી ચામડીની પણ પૂરી સંભાળ ના લેવાય તો ૫૦ વર્ષ પછી તેની સ્પર્શની શક્તિ ગુમાવી દે છે.

૫. દાંત ઃ ‘એજંિગ પ્રોસેસ’ને કારણે તેમજ પૂરતી ચોક્ખાઇ ના રાખી હોય તેમ જ ચાવવાની ક્રિયા ના કરી હોય ત્યારે દાંતમાં કેવીટી (ખાડા) પડે, દાંત તૂટી જાય, દાંતમાં અને અવાળામાં છારી અને સડો થાય, દાંત પડી જાય અને પછી બનાવટી દાંતનું ચોકઠું લગાડવું પડે.

૬. ફેફસાં ઃ ફેફસામાં એલર્જીને કારણે, ચેપને કારણે અને કચરો ભરાઇ જવાથી પચાસ વર્ષે ૫૦ ટકાથી ઓછાં કાર્ય કરે. તેમાં પણ તમે ઊંડા શ્વાસ લેવાની ક્રિયા (પ્રાણાયામની ક્રિયા) કરી ના હોય ત્યારે અને દમ, ટીબી, કેન્સર વગેરે રોગ થાય ત્યારે તેનાથી પણ ઓછી ક્ષમતાથી કામ કરે.

૭. હૃદય ઃ ઉમરને કારણે, કસરત કે કોઇપણ શારીરિક પ્રવૃત્તિના અભાવે હૃદયની લોહી ધકેલવાની ક્રિયા ઘટીને ૩૦ ટકા જેટલી થઇ જાય. આને લીધે જેમ શરીરનાં અંગોને પૂરતું અને પૂરતા ઓક્સીજનવાળું લોહી મળે નહીં તેવી જ રીતે પોતાને પણ ના મળે. આ ઉપરાંત તમારા ખોરાકમાં કોલેસ્ટ્રોલવાળા પદાર્થો લેવાને લીધે હૃદયને લોહી આપનારી નળીઓમાં ક્લોટ થવાથી પુરુષોમાં ૩૫ વર્ષ પછી અને સ્ત્રીઓમાં ૫૦ વર્ષ પછી ‘હાર્ટ એટેક’ આવે, જેનાથી મૃત્યુ થાય.

૮. મગજ ઃ આખા શરીરનું સંચાલન કરનાર મગજને સતત ઓક્સિજનવાળા લોહીનો પુરવઠો જોઇએ. ‘એજંિગ પ્રોસેસ’માં મગજને લોહી ઓછું મળતું થાય ત્યારે યાદશક્તિ ઓછી થાય. કંપવા થાય. મગજનો કંટ્રોલ ના રહે. ડીપ્રેસન આવે અને લગભગ બધાં જ અંગો ઉપરનો કાબૂ જતો રહે.

૯. સાંધા ઃ જેમ જેમ ઉમર વધે તેમ તમારા શરીરના ૩૦૦થી પણ ઉપરની સંખ્યાના સાંધા જેની તંદુરસ્તીનો આધાર તમારા શરીરનાં હાડકાં અને સ્નાયુ ઉપર છે તે બન્ને જેમ જેમ ઉમરને કારણે નબળાં પડે તેમ સાંધા પણ નબળા પડે. આને લીધે સાંધા ઉપર સોજો આવે. સાંધાને વાળવાની ક્રિયા (ઢીંચણ, કમર, ડોક, બરડો)માં દુખાવો થાય અને શરીરની દરેક પ્રકારની હલનચનલનની ક્રિયામાં તકલીફ પડે.

૧૦. પેન્ક્રિયાસ ઃ વારસાગત કારણ સિવાય ઉમર જેમ વધતી જાય તેમ પેન્ક્રિયાસની ઈન્સ્યુલીન કાઢવાની ક્રિયા મંદ પડે અને મોટી ઉમરે થનારો ડાયાબીટીસ થાય. આમાં તમને ગળ્યું ખાવાની ટેવ હોય તો ૫૦ વર્ષને બદલે ૩૦ કે ૩૫ વર્ષે પણ ડાયાબીટીસ થાય.

૧૧. કિડની ઃ વધારે મીઠું ખાવાની ટેવ બી.પી. વધારે તેમજ ઝેરીપદાર્થો બહાર કાઢવાને લીધે કિડની ખરાબ થવાના ચાન્સ ૪૦ વર્ષ પછી વધી જાય.

૧૨. લીવર ઃ આખા શરીરને જરૂર પ્રમાણે શક્તિ આપનારા પદાર્થો લોહીની નળીઓ દ્વારા મોકલનારા લીવરમાં ચેપ લાગવાથી કમળો થાય. એબ્સેસ (પાક) થાય. પાચનક્રિયાના પ્રોબ્લેમ થાય. ખોરાક વાટે કે દવા વાટે શરીરમાં દાખલ થયેલા ઝેરી (ટોક્સીક) પદાર્થોને દૂર કરવાનું કામ ના થાય. એન્ઝાઈમ બનાવવાનું કામ ના થાય અને મૃત્યુનાં અનેક કારણોમાંનું એક લીવર ફેલ્યોર થાય.

એજંિગ પ્રોસેસની અસર જુદાં જુદાં અંગો પર કેવી થાય છે તે તમે જાણી ગયા. પહેલાં જણાવ્યું તેમ આ એજંિગ પ્રોસેસના ચક્રને ધીમું પાડવા માટે તમારે નીચેના ઉપાયો અમલમાં મૂકવા પડશે.

૧. કસરત ઃ તમને ગમતી કસરત ૪૦ મિનિટ (વધારે નહીં) નિયમિત કરવાથી શરીરમાં પહેલાં ફેફસાની કાર્યશક્તિ વધશે અને શરીરમાં ઓક્સિજન (પ્રાણવાયુ) વધારે જશે. શરીરના એકેએક અંગના કોષને ઓક્સિજન જેમ જેમ મળતો થશે તેમ એજંિગ પ્રોસેસની અસર ઓછી થશે. ચામડીની ચમક વધશે. કરચલી નહીં પડે ચુસ્તી વધશે. સ્નાયુના કોષની શક્તિ વધવાથી સ્નાયુ સુદ્રઢ અને સુબઘ્ધ થશે, જેને લીધે શરીર સુડોળ થશે. હાડકાં, સાંધા, કિડની, લીવર, પેન્ક્રિયાસ સરસ રીતે કામ કરશે. પાંચે જ્ઞાનેન્દ્રિયોની ક્ષમતા વધશે. મોટી ઉમર સુધી પાંચે ઈન્દ્રિયો સરસ કામ કરશે. હૃદયની ક્ષમતા વધશે અને હૃદયની લોહી ધકેલવાની શક્તિ વધવાથી શરીરનાં બધાં જ અંગો પ્રફુલ્લિત થઇ જશે. હાર્ટ એટેકનો ડર જશે. મગજ પ્રફુલ્લિત રહેશે. યાદશક્તિ જળવાઇ રહેશે. કંપવા થતો અટકશે. લોહી ઉત્પન્ન કરનાર હાડકાની મજ્જા સરસ કામ કરશે. એટલે લોહીના રક્તકણની સંખ્યા વધશે. હિમોગ્લોબીન વધશે, જેથી રોગપ્રતિકારક શક્તિ વધશે. શરીરમાં રોગોના જંતુ દાખલ થશે નહીં. થશે તો નાશ પામશે અને શરીર રોગરહિત રહેશે.

૨. વ્યસનોથી દૂર રહેવું પડશેઃ સિગરેટ, તમાકુ, દારૂ, કેફી પદાર્થો, દેશી- પરદેશી દવાઓની આડઅસર શરીરના એજંિગ પ્રોસેસને ઝડપી બનાવશે, માટે એ બધાનો ત્યાગ કરવો પડશે. પહેલાં જણાવ્યું તેમ કસરતથી રોગપ્રતિકારક શક્તિ વધશે અને મોટેભાગે દવાઓની જરૂર નહીં પડે.

૩. ખોરાકનું આયોજન ઃ દૂધ, આખું અનાજ, કઠોળ અને કુદરતી ખોરાક લેવાની ટેવ, સહેલાઇથી પાચન થાય તેવો ખોરાક, લીલા શાકભાજી અને તાજાં ફળોનો ખોરાક, શરીરનું કિ.ગ્રામમાં વજન હોય તેટલું પ્રોટીન લેવાનો નિયમ, ઓછું ગળપણ, ઓછું મીઠું અને ઓછી ચરબીવાળા પદાર્થો લેવાની ટેવ તમને લાંબું જીવાડશે. ૧૦થી ૧૨ ગ્લાસ પાણી અને બીજા પ્રવાહી લેવા પડશે.

૪. હેલ્થ માઇલ સ્ટોન ઃ ૪૦ વર્ષ પછી નિયમિત હેલ્થ ચેકઅપનો કાર્યક્રમ જેમાં ૧. હિમોગ્લોબીન ૨. લીપીડ પ્રોફાઇલ ૨. ભૂખ્યા પેટે અને જમ્યા પછી બે કલાકે બ્લડ સુગરની તપાસ ૪. બ્લડપ્રેશરની તપાસ ૫. સીરમ ક્રિએટીનીન ૬. દાંતની ૭. આંખની ૮. નાક, કાન, ગળાની તપાસ ૯. કાર્ડીઓગ્રામ ૧૦. છાતીનો એક્સ રે ૧૧. પેટની સોનોગ્રાફી ૧૨. સ્ત્રીઓમાં સ્તનની મેમોગ્રાફી ૧૩. પેપ સ્મિયર (ગર્ભાશયના કેન્સર માટે) ૧૪. પુરુષોમાં પ્રોસ્ટેટ માટેની તપાસ અને પી.એસ.એ.

૫. મનને શાંત રાખવું પડશે ઃ મન શાંત કરવા માટે મેડીટેશન જરૂરી છે. જીવનમાં બનતા બધા જ બનાવો માટે પોઝિટિવ (હકારાત્મક) અભિગમ રાખવાથી ટેન્શન નહીં થાય અને જેટલું ટેન્શન ઓછું તેટલું તમને ડાયાબીટીસ, બી.પી., સ્ટ્રોક, કેન્સર, હાર્ટ એટેક થવાની શક્યતા ઓછી થશે. રોગપ્રતિકારક શક્તિ વધશે. ચેપી રોગો નહીં થાય. એજંિગ પ્રોસેસની અસર નહીં થાય.

૬. સદાયે આનંદિત રહો ઃ નાની મોટી બધી જ બાબતને હળવાશથી લેવાની ટેવ, દરેકમાંથી હસવાની વાતને શોધી કાઢવાની ટેવ, જે કાંઇ થાય તે સ્વીકારી લેવાની ટેવ અને હસતા રહેવાની અને લોકોને હસતા રાખવાની ટેવ તમારા એજંિગ પ્રોસેસને ચોક્કસ ધીમો પાડી દેશે એની ખાત્રી રાખશો.

૭. તમારા ઈષ્ટ દેવ પર વિશ્વાસ રાખો ઃ નિયમિત પ્રાર્થના, ઘ્યાન અને જે કાંઇ બને છે તે એની મરજીથી થાય છે એવો દ્રઢ વિશ્વાસ અને જીવનમાં બનતી બધી જ વસ્તુઓ (સારી કે માઠી) સ્વીકારી લેવાની ટેવ એજંિગ પ્રોસેસને ધીમો કરવાનો શ્રેષ્ઠ રસ્તો છે તે ખાતરી રાખશો.

Copyright   © Gujarat Samachar