|
૨૯ વર્ષ પછી આ ટુર્નામેન્ટનું ફોરમેટ બંધ કરવાની જાહેરાત ઓસ્ટ્રેલિયામાં આવતા વર્ષથી ત્રિકોણીય જંગ પર પૂર્ણવિરામ
બ્રિસ્બેન, તા. ૧
આવતીકાલથી શરૂ થતી ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેનો ત્રિકોણીય જંગ ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ કેલેન્ડરની છેલ્લી આવી ટુર્નામેન્ટ છે. છેલ્લા ૨૯ વર્ષથી ઓસ્ટ્રેલિયા તેના ઘર આંગણાની સિઝનમાં જે ટીમ જોડે ટેસ્ટ શ્રેણી રમે છે તેની જોડે ત્યારપછી વન-ડે શ્રેણી રમવાની જગાએ ત્રીજી કોઇ ટીમને આમંત્રીને વન-ડે ત્રિકોણીય જંગ રમતું રહ્યું છે.
છેલ્લા ૧૪ વર્ષમાં ઓસ્ટ્રેલિયા માત્ર ત્રણ વખત જ ટુર્નામેન્ટ જીતી નથી શક્યુ
કેરી પેકરનો ક્રિકેટ ક્રાંતિ પછી ક્રિકેટ ચાહકોની રોમાંચકતાની અપેક્ષા સંતોષવા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આવી પ્રણાલીનો પ્રારંભ કર્યો હતો જે શરૂના વર્ષો સુધી જ હીટ પુરવાર થયો હતો.
પણ છેલ્લા બે દાયકાથી ઓસ્ટ્રેલિયાનું એ હદે પ્રભુત્વ જામતું ગયું કે આ ત્રિકોણીય જંગ એક તરફી જ બની જતાં તેનો કોઇ રોમાંચ નહોતો રહ્યો. પ્રાયોજકોને પણ આ કારણે રસ નહોતો રહ્યો.
૧૯૯૩થી ૨૦૦૭ સુધીમાં ઓસ્ટ્રેલિયા ત્રણ વખત જ ત્રિકોણીય જંગમાં ચેમ્પિયન નથી બની શક્યું. ૨૦૦૭ના છેલ્લા ત્રિકોણીય જંગમાં જ જોગાનુજોગ ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હાર્યુ હતું.
આમ ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની આ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાના આ રીતના કેલેન્ડરની છેલ્લી હશે.
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટરોએ ટેસ્ટ શ્રેણી પછી અતિ લાંબી ચાલતી આ ત્રિકોણીય ટુર્નામેન્ટોને કારણે તેઓ વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડરમાં થાકી જાય છે તેવી ફરિયાદ કરી હતી. જેમાં ઓસી. બોર્ડને પણ યોગ્ય લાગતા તેઓએ આવતા વર્ષથી કાયમી ધોરણે પારંપારિક ત્રિકોણીય ટુર્નામેન્ટ પડતી મુકી છે.
|