અમિતાભ માત્ર ઉત્તરપ્રદેશને વફાદાર છેઃ રાજ ઠાકરે
મુંબઈ, તા. ૨
શિવસેનાથી અલગ થઈને પોતાનો પક્ષ રચનાર રાજ ઠાકરેએ આજે એક તરફ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ઉપર પ્રહારો કર્યા હતા તો બીજી તરફ તેમના નવા પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સભ્યોએ મુંબઈમાં સમાજવાદી પક્ષના નેતા અમરસંિહની પત્રકાર પરિષદ ખોરવી નાખી હતી.
મુંબઈમાં અમરસંિહની પત્રકાર પરિષદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સભ્યોએ ખોરવી નાખી
રાજ ઠાકરેએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે અમિતાભ બચ્ચન મહારાષ્ટ્રમાં રહેતા હોવા છતાં રાજ્ય માટે કશું કરતા નથી અને તેઓ માત્ર તેમના વતનરાજ્ય ઉત્તરપ્રદેશને જ વફાદાર છે. અમિતાભને ચૂંટણી લડવી હતી તો તેમણે અલ્હાબાદની પસંદગી કરી હતી તેમ જણાવી તેમણે સવાલ કર્યો કે તેમણે મુંબઈની પસંદગી કેમ નહોતી કરી? બચ્ચને ઉત્તરપ્રદેશના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું પણ પસંદ કર્યું હતું તેમ રાજ ઠાકરેએ કહ્યું હતું.
રાજ ઠાકરેએ રેલવેપ્રધાન લાલુપ્રસાદની પણ આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું કે બિહારના આ ભૂતપૂર્વ મુખ્યપ્રધાનને માત્ર તેમના સમુદાયના વિકાસમાં જ રસ છે. લાલુ પ્રસાદ કહે છે કે રાજ ઠાકરે દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ મારો સવાલ એ છે કે એ પોતે રેલવેમાં માત્ર બિહારીઓની જ તરફેણ કરે છે ત્યારે તેઓ (લાલુ) આવું કેવી રીતે બોલી શકે?
મુંબઈમાં આજે રાજ ઠાકરેના પક્ષના સભ્યોએ અમરસંિહની પત્રકાર પરિષદ ખોરવી નાખી હતી અને તેમના વિરૂદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. આ અંગે અમરસંિહે કહ્યું કે કેટલાક રાજકીય પક્ષોને કોઈ મુદ્દો ના મળે ત્યારે આવા નિરર્થક મુદ્દા ઉપસ્થિત કરતા હોય છે.
આ અગાઉ રાજ ઠાકરેએ ઉત્તરપ્રદેશ અને બિહારના નાગરિકો દ્વારા કરવામાં આવતી છઠ પૂજાની ટીકા કરી હતી જેને કારણે બંને રાજ્યોના લોકો નારાજ થયા હતા એટલું જ નહિ પરંતુ તેમની વિરૂદ્ધ ફરિયાદો પણ નોંધાવી છે. મુંબઈમાં બિહાર અને ઉત્તરપ્રદેશના લોકો દ્વારા કરવામાં આવતી સૂર્યદેવની છઠ પૂજા એક નાટક છે તેવું બોલનાર રાજ ઠાકરે સામે શશીકુમાર પાંડે તેમજ વિદ્યા કુમારી નામના બે નાગરિકોએ અલગ અલગ ફરિયાદો દાખલ કરીને આક્ષેપ કર્યો છે કે ઠાકરેના આ નિવેદનથી તેમની ધાર્મિક લાગણી દુભાઈ છે.
|