પાક.માં વિપક્ષો ચૂંટણી જીતશે તો મુશર્રફ પ્રમુખપદ છોડી દેશે
(પી.ટી.આઇ.) ઇસ્લામાબાદ, તા. ૨
પાકિસ્તાનમાં ૧૮મી ફેબુ્રઆરીએ યોજાનારી સામાન્ય ચૂંટણીમાં મતદારો પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ વિરોધી રાજકીય પક્ષોની તરફેણમાં મતદાન કરશે તો તેઓ રાજકારણ છોડી દેશે તેમ તેમની નજીકના એક સ્રોતે જણાવ્યું હતું.
પાક. પ્રમુખની સ્થિતિ પહેલાં જેટલી મજબૂત નહિ હોવાની કબૂલાત
‘‘દેખીતી રીતે તેઓ પહેલા જેટલા મજબૂત રહ્યા નથી,’’ તેમ નામ નહીં જાહેર કરવાની શરતે એક સ્રોતે ‘ન્યુઝ ડેઇલી’ને કહ્યું હતું.
નવેમ્બરમાં લશ્કરી ગણવેશ ઉતારી દીધા બાદ મુશર્રફ એક ‘સામાન્ય રાષ્ટ્રપ્રમુખ’ બની ગયા હતા તેમ આ સ્રોતે જણાવ્યું હતું.
લોકો તેમના વિરોધી પક્ષોની તરફેણમાં મતદાન કરે તો મુશર્રફ રાજકારણ છોડી શકે છે તેમ રાષ્ટ્રપ્રમુખના મદદનીશે ‘કબૂલ’ કર્યું હતું તેમ ડેઇલી ન્યુઝે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય અને ચાર પ્રાંતીય વિધાનસભામાં ‘મુશર્રફ વિરોધી પરિબળો’ સત્તા પર આવશે તો રાષ્ટ્રપ્રમુખ ‘કટોકટીની સ્થિતિ’ના નિર્ણયો લેશે.
મુશર્રફે ચૂંટણી પહેલાં પોતાનો હોદ્દો છોડી દેવા સહિતની તાત્કાલીક રાજકારણમાંથી બહાર નીકળવાની વ્યૂહરચના વિચારી શકે છે કે કેમ તેમ પૂછતાં મદદનીશે જણાવ્યું હતું, ‘‘ના ક્યારેય નહીં.’’
વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની વિપરિત આ ચૂંટણીમાં ગેરરીતિઓ થશે નહિ તે મુક્ત, ન્યાયી અને સ્વતંત્ર હશે તેમ પણ સ્રોતોએ જણાવ્યું હતું ‘‘હું ખાતરી આપું છું કે પાકિસ્તાનના ઇતિહાસમાં આ ચૂંટણીઓ સૌથી ન્યાયી હશે.’ તેવો દાવો આ સહાયકે કર્યો હતો.
વિપક્ષો અને વકીલો સહિતના સમાજના જુદા- જુદા વર્ગો તથા પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ પણ મુશર્રફના રાજીનામાની માગણી કરી હતી. સાચી લોકશાહીને યથાસ્થાને રાખવા તેમણે રાષ્ટ્રપ્રમુખને બે વખત પદ છોડવા જણાવ્યું હતું.
ગયા વર્ષે કટોકટીના શાસન દરમિયાન પદભ્રષ્ટ કરવામાં આવેલા ન્યાયાધીશોના પુનઃ સ્થાપનની માગણી અંગે રાષ્ટ્રપતિએ કોઈ નરમાશ બતાવી નહોતી પણ મદદનીશે જણાવ્યું હતું કે, સંસદમાં બે તૃતિયાંશ બહુમતી ધરાવતી સરકાર જ કટોકટીમાં લેવાયેલા પગલાને રદબાતલ કરી શકે છે.
|