|
યુનિવર્સિટીની સેનેટ - વેલફેરની ચૂંટણીમાં વિદ્યાર્થીઓને જીતાડવા સરકાર નિયુક્ત સભ્યો મેદાનમાં
અમદાવાદ,
ગુજરાત યુનિવર્સિટીની વિદ્યાર્થી સેનેટ અને બોર્ડ ઓફ સ્ટુડન્ટ વેલ્ફેરની ચૂંટણીની બે દિવસની વાર છે ત્યારે હાલ વિદ્યાર્થી સંગઠનો વચ્ચે છેલ્લીઘડીની રસાકસી ચાલી રહી છે. મહત્વની વાત એ કે ભાજપ પ્રેરિત વિદ્યાર્થી સંગઠનના ઉમેદવારોને જીતાડવા માટે સરકાર નિયુક્ત સીન્ડીકેટ અને સેનેટ સભ્યોને કામ સોંપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
મતદારોને રૂપિયાથી લઇને સારા ઇન્ટરનલ ગુણ અપાવવાની લાલચ ઃ પ્રચાર માટે આજે છેલ્લો દિવસ
પ્રાપ્ત વિગતો અનુસાર વિદ્યાર્થીસેનેટની ચૂંટણી માટે આગામી તા.૪ ફેબુ્રઆરીએ મતદાન થવાનું છે ત્યારે કોંગ્રેસ પ્રેરિત એનએસયુઆઇ અને ભાજપ પ્રેરિત એબીવીપી સંગઠનના વિદ્યાર્થીઓએ પ્રચાર માટે છેલ્લીઘડીના પ્રયાસો હાથ ધર્યા છે. જે તે ફેકલ્ટીના ઉમેદવારોએ મતદાર વિદ્યાર્થીઓના ઘરે જઇને યેનકેન પ્રકારે મત મેળવવા માટની કાર્યવાહીઓ આરંભી દીધી છે. જેમાં મતદાર વિદ્યાર્થીઓને રૂપિયાથી માંડીને પરીક્ષામાં સારા ઇન્ટરનલ ગુણ મેળવી આપવાની લાલચો આપવામાં આવી રહી છે.
બીજીબાજુ ગત વર્ષે એનએસયુઆઇના વિદ્યાર્થી સંગઠનને વઘુ બેઠકો મળી હોવાના કારણે ચાલુ વર્ષે એબીવીપીને વઘુ બેઠકો મળે તે માટે સરકાર કક્ષાએ પણ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીમાં સરકારમાંથી સીધા નિયુક્ત થયેલા સરકારી સીન્ડીકેટ અને સેનેટ સભ્યોને જે તે ઉમેદવારોને જીતાડવાની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. આ માટે શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીમાંથી જે તે સભ્યોને જવાબદારી સાથે આદેશો પણ આપવામાં આવ્યા છે. પરિણામે છેલ્લા બે દિવસથી સીન્ડીકેટ અને સેનેટ સભ્યોએ પણ ચૂંટણીમાં સક્રિય ભાગ લેવાનું શરૂ કરતાં ચૂંટણી પ્રક્રિયામાં ભારે ઉત્તેજના વ્યાપી ગઇ છે. એબીવીપીએ ચાલુ વર્ષ જે તે ફેકલ્ટીમાં ઉમેદવારોની પસંદગીમાં મની પાવરની સાથે મસલ પાવરને પણ ઘ્યાનમાં લીધો છે. ચૂંટણીના છેલ્લા દિવસે કોઇપણ પરિસ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળે તેવા વિદ્યાર્થીઓને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
એજન્ડા પ્રમાણે કામ ના થાય તો રાજીનામાની તૈયારી
અમદાવાદ,
વિદ્યાર્થી સેનેટ અને વેલ્ફેરની ચૂંટણીમાં વિદ્યાર્થીઓ ચૂંટણી જીત્યા પછી ખરેખર શું કરશે તેનો કોઇ એજન્ડા જાહેર કરતાં નથી. ચાલુ વર્ષે ઇજનેરી ફેકલ્ટીના એક વિદ્યાર્થીએ સ્વૈચ્છાએ પોતાનો એજન્ડા જાહેર કર્યો છે. મહત્વની વાત એ કે આ એજન્ડા પર પોતે કામ કરી શકયો છે કે નહી તે નક્કી કરવાનું વિદ્યાર્થીઓ પર છોડયું છે. આ સિવાય વિદ્યાર્થીઓને અગાઉથી પોતાનું લેખિત રાજીનામું પણ આપી રાખ્યું છે.જો પોતે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉકેલવામાં નિશ્ફળ જાય તો વિદ્યાર્થીઓ આ રાજીનામું યુનિવર્સિટીમાં સુપ્રત કરાવી શકે તેવી બાંહેધરી પણ આપી છે.
|