home page
ગુજરાત
રાષ્ટ્રીય
આંતરરાષ્ટ્રીય
વ્યાપાર
રમત ગમત
મનોરંજન
આજનું ભવિષ્ય
ફોટો ગેલેરી
લગ્ન વિષયક
પૂર્તિ
તંત્રીને પત્ર
અવસાન નોંઘ
આજ નું કાર્ટુન
પ્રથમ પાનું > ગુજરાત >

બારણું ખુલ્લું હતું ને રાત્રે એકાએક ત્રણ શખ્સો ધૂસી આવ્યા
નવરંગપુરામાં વૃઘ્ધ દંપતિને ચાકૂથી ઘાયલ કરી લૂંટી લીધા

અમદાવાદ,

શહેરના પોશ એવા નવંરગપુરા કોમર્સ છ રસ્તા પાસે આવેલા દેવભૂમી એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે રહેતા વયોવૃઘ્ધ દંપત્તિને તિક્ષ્ણ હથિયારથી ઇજા પહોંચાડીને ગઇકાલે રાત્રે ત્રણ અજાણ્યા શખ્સો તેમના ઘરમાંથી છ હજાર રૂપિયા રોકડા તેમજ અન્ય ચીજવસ્તુઓ લુટી ગયા હતા. ચોંકાવનારી વાત તો એ છે કે નિવૃત ઇજનેર વૃઘ્ધ અને તેમની પત્નીએ પોલીસ સમક્ષ એવી રજુઆત કરી હતી કે મારી પાછળ વિનોદા નામની મહિલા પડી છે અને તે મારી તમામ મિલ્કત હડપ કરી લેવા માંગે છે. આ લૂંટ કરવા પણ તેણે માણસો મોકલ્યા હોવા જોઇએ.

વિનોદા સાથેના મીઠા સંબંધોનું પરિણામ હોવાની શંકા, છ હજારની રોકડ, વીંટી અને મોબાઈલ લઈ ફરાર

પોલીસ તરફથી મળેલી બનાવની વિગત એવી છે કોમર્સ છ રસ્તાથી વિજય ચાર તરફ જવાના રસ્તા પર આવેલા દેવભુમી ફ્‌લેટમાં નિવૃત ઇજનેર વલ્લભભાઇ નાથાભાઇ પોશીયા (૭૭) તેમના પત્ની શાંતાબેન (૭૫) સાથે રહે છે. તેમના ચાર સંતાનો પૈકી ત્રણ પુત્રી અને એક પુત્ર અમેરીકા રહે છે. જ્યારે ચોથી પુત્રીના લગ્ન મુંબઇ થયા હોવાથી તે ત્યાં રહે છે. આથી વૃઘ્ધ દંપત્તિ છેલ્લાં ઘણાં સમયથી ઉપરોક્ત ફ્‌લેટમાં એકલા જ રહેતા હતા. વલ્લભભાઇને એક આંખ નથી અને બીજી આંખે પણ ઓછુ દેખાતુ હતું. જ્યારે શાંતાબેનને ઉંમરને લઇને કાને તકલીફ હતી. આથી ઘરના તમામ કામકાજ માટે એક નોકર રાખ્યો હતો.. ગઇકાલે રાત્રે ઘરનું કામ પતાવીને નોકર જતો રહ્યો હતો. રાત્રે ૮.૩૦ વાગ્યાના સુમારે વલ્લભાઇને માલિશ કરવા માટે નિત્યક્રમ મુજબ માણસ આવ્યો હતો. આથી શાંતાબેનને એમ થયુ કે માલિશ પુરો થાય તે પહેલા એક ચક્કર મારીને આવુ અને ઉપર રહેતા ગીતાબેનને મળતી આવુ. આમ તે નીચે ગયા હતા. થોડીવાર પછી ઉપર આવ્યા ત્યારે માલિશ કરવા વાળો માણસ નીકળી ગયો હતો અને તેમના ફ્‌લેટનો દરવાજો ખુલ્લો હોવાથી તેમણે પતિને બુમ મારીને દરવાજો બંધ કરી દેવાનું કહીને તે ગીતાબેનના ઘરે બેસવા ગયા હતા. ત્યાંથી વીસેક મીનીટ પછી પાછા આવ્યા હતા. આ દરમ્યાન તેમની પડોશમાં રહેતી યુવતિ ગરમ-ગરમ ભજીયા આપી ગઇ હોવાથી બંને જણાએ સાથે બેસીને ડ્રોઇંગરૂમમાં ભજીયા ખાધા હતા. ત્યારબાદ વલ્લભભાઇ થોડીવાર ટીવીમાં સમાચાર સાંભળીને પોતાના બેડરૂમમાં જઇને સંગીત સાંભળતા-સાંભળતા સુઇ ગયા હતા. જ્યારે શાંતાબેન સીરીયલ જોઇ રહ્યા હતા. દસેક વાગ્યાના સુમારે તેમણે ટીવી બંધ કર્યુ હતું અને ફ્‌લેટનો મુખ્ય દરવાજો બંધ કરવા ગયા ત્યારે પોતાના જ રૂમ તરફથી એક શખ્સ ઝડપભેર તેમની પાસે આવ્યો હતો અને ચપ્પુ લમણે મુકીને ચુપચાપ ઉભા રહેવા જણાવ્યુ હતું આથી શાંતાબેન પાસે બીજો કોઇ વિકલ્પ ન હતો.

ત્યારબાદ આ શખ્સ તેમને બેડરૂમમાં લઇ ગયો હતો અને ત્યાં જઇને તેમને કહ્યુ હતું કે તમારી પાસે જે કંઇ પણ પૈસા હોય તે આપી દો. આ સમયે બીજો શખ્સ પણ સામેના રૂમમાંથી આવી ગયો હતો. આથી શાંતાબેને તેમને કહ્યુ કે મારી પાસે કોઇ જ રૂપિયા નથી આમછતાં મારા પાકીટમાં જોઇલો. ત્યારે એક શખ્સે તેમને કહ્યુ હતું કે વો ઓરત તો કહેતી થી કી તુમ્હારે પાસ કરોડો રૂપિયા હૈ ! આથી શાંતાબેને તેમને કહ્યુ હતું કે હાલમાં અમારી પાસે કોઇ રકમ નથી. ત્યારે બાજુના બેડરૂમમાં સુઇ રહેલા વલ્લભાઇ કણસતા હોવાથી તેમની પાસે જઇને શખ્સોએ ચપ્પુના વાર કર્યા હતા. આથી તેમના હાથની આંગળીના ભાગે ગંભીર ઇજા થઇ હતી. વયોવૃઘ્ધ વલ્લભભાઇ તેમનો કંઇ પ્રતિકાર કરે તે પહેલા ગળામાંથી તિજોરીની ચાવી લઇને તેમાં પડેલા છ હજાર રૂપિયા રોકડા તેમજ શાંતાબેનને પહેરેલી વીંટી તેમજ તેમનો મોબાઇલ લઇને બંને શખ્સો જતાં રહ્યા હતા. જ્યારે ત્રીજો શખ્સ દરવાજે વોચ રાખીને ઉભો હતો. બુકાની બાંધેલા આ અજાણ્યા શખ્સોએ કપડા વડે બંનેને હાથે પગે બાંધીને જતાં રહ્યા હતા પરંતુ વલ્લભભાઇએ મહામહેનતે હાથ છોડાવીને બહાર આવ્યા ત્યારે જોયુ તો પત્નીના હાથના ભાગે પણ ઇજાઓ થઇ હતી. આથી વલ્લભાઇએ ત્રીજા માળે રહેતા તેમના પરિચિતને ફોન કરીને બોલાવ્યા હતા. કારણ અજાણ્યા શખ્સો ઘરનો દરવાજો બહારથી બંધ કરતાં ગયા હતા. ૧૧ વાગ્યાના સુમારે તો બુમાબુમ થઇ જતાં સમગ્ર ફ્‌લેટના લોકો એકત્ર થઇ ગયા હતા અને આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.બી.નાગોરી તેમજ સ્ટાફના માણસો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દંપત્તિની રજુઆત સાંભળીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે પોલીસ સમક્ષ વલ્લભભાઇએ એવી રજુઆત કરી હતી કે નારણપુરા ખાતેના ચંદ્રાલય એપાર્ટમેન્ટ ખાતે રહેતી વિનોદા નારણદાસ ઠક્કર (૫૦) સાથે પોતાને છેલ્લાં ઘણાં સમયથી સંબંધ હતો. વિનોદાના પિતા શેરબજારનો ધંધો કરતાં હોવાથી તેમની થકી મારી ઓળખાણ તારંગા સાથે થઇ હતી. ત્યારબાદ તે અમારા ઘરે કામ કરવા આવતી હતી. દરમ્યાનમાં અમારી વચ્ચે મીઠા સંબંધો બંધાયા હતા અને સન ૧૯૯પમાં તેણે દરીયાપુર કાજીપુર ખાતે રહેઠાણ દર્શાવીને મારી સાથે ખોટુ લગ્નનું પ્રમાણપત્ર ઉભુ કર્યુ હતું એટલુ જ નહીં પછી તો અમને એવી પણ ખબર પડી હતી કે તે અમારા ઘરમાંથી તે ચોરી પણ કરતી હતી. આથી અમે તેની સાથે સંપુર્ણ સંબંધો કાપી નાંખ્યા હતા. દરમ્યાનમાં તેણે તેના ડ્રાઇવીંગ લાયસન્સમાં અન્ય વિવિધ સ્થળો પર વિનોદા વલ્લભભાઇ તરીકે નામનો ઉલ્લેક કરાવીને પત્ની તરીકેનો હક્ક જતાવ્યો હતો. એટલુ જ નહીં આ તમામ પુરાવા આધારે ફેમીલી કોર્ટમાં પણ તેણે કેસ કર્યો હતો. આ ઉપરાંત જજીસ બંગલા પાસે આવેલા મૃદુલ સીતાડેલ બંગલોમાં વલ્લભાઇએ રાખેલો બંગલો પણ વિનોદાએ પોતાનો હોવાની વાત કરતાં પરિવારના સભ્યો ચંિતામાં પડી ગયા હતા. આ ભુતકાળ અને અજાણ્યા શખ્સોએ શાંતાબેન પાસે એમ કહ્યુ હતું કે વો ઓરત તો કહેતીથી કી તુમ્હારે પાસ કોરોડો રૂપિયા હૈ. આ હકીક્ત પરથી વલ્લભભાઇએવી શંકા સેવી રહ્યા છે કે વિનોદાએ આ માણસો મોકલ્યા હોવા જોઇએ. પોલીસે તમામ શક્યતાઓને ઘ્યાનમાં રાખીને વઘુ તપાસ હાથ ધરી છે.

મારા કાયદેસર તેમની સાથે લગ્ન થયા છેઃ વિનોદાબેન

અમદાવાદ,

નવરંગપુરા દેવભૂમી ફ્‌લેટ ખાતે રહેતા વૃઘ્ધદંપત્તિએ લૂંટનો ભોગ બન્યા બાદ નોંધાવેલી ફરીયાદમાં એવો આક્ષેપ કર્યો હતો કે નારણપુરા ચંદ્રાલય એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિનોદાબેન નારણદાસ ઠક્કર સાથે અમારે સંબંધ હતા. પરંતુ તેમણે મિલ્કતોમાં ભાગ માંગ્યા બાદ અમે છુટા પડી ગયા હતા. આ આક્ષેપ અંગે વિનોદાબેનને પુછતાં તેમણે જણાવ્યુ હતું કે આ લૂંટ સાથે મારે કોઇ લેવા દેવા નથી. એટલુ જ નહીં તેમણે એમ પણ કહ્યુ હતું કે મારા પિતા શેરબજારનો ધંધો કરતાં હતા ત્યારે વલ્લભભાઇ પોશીયા પણ શેરબજારમાં જતાં હતા. આથી તેમના થકી મારે ઓળખાણ થઇ હતી. ત્યારબાદ મેં તેમની સાથે કાયદેસર લગ્ન કર્યા છે. ખરેખર તો મને ભાગ આપવો ન પડે તે માટે તેઓ આ પ્રકારનો આક્ષેપ કરી રહ્યા છે. અમારા ફેમીલી કોર્ટમાં આ અંગે કેસ પણ ચાલી રહ્યા છે.

Copyright   © Gujarat Samachar