સરકાર વારંવાર ઉત્સવો ઉજવી પંચાયતો પાસે ખર્ચ કરાવે છે
અમદાવાદ,
ગ્રામ પંચાયતોની મર્યાદિત આવક
હોવા છતાં રાજ્યકક્ષાએથી યોજાતા કાર્યક્રમોના કારણે પંચાયતો ઉપર આર્થિક
બોજો પડે છે. આજે ‘પર્યાવરણ દિન’ની ઉજવણીના ભાગરૂપે ગ્રામ
વિકાસ રાજ્યમંત્રી ભરત બારોટનો કાર્યક્રમ, દસક્રોઈ તાલુકાના લીલાપુર
ગામમાં યોજાયો હતો. વિશાળ મંડપ અને માઇક વગેરેની સગવડો ઉભી કરવામાં
આવી હતી પરંતુ જ્યારે ખર્ચની રકમ ચૂકવવાની વાત આવી ત્યારે ગ્રામપંચાયતે
ઇન્કાર કરી દીધો હતો.
ભરત બારોટના વૃક્ષારોપણ કાર્યક્રમના
ભવ્ય આયોજનનો ખર્ચ ચૂકવવા લીલાપુર પંચાયતનો ઇન્કાર
તાજેતરમાં જ કૃષિ મહોત્સવનો રથ
આવ્યો ત્યારે મોટો ખર્ચ કર્યો હોવાથી હવે પંચાયત કોઈ ખર્ચ કરી
શકે તેમ નથી તેવી સ્પષ્ટ વાત ગ્રામપંચાયતે કરી હતી. સરકાર દ્વારા વારંવાર
ઉજવાતા ઉત્સવો અંગે ખર્ચ અંગે ક્યારેય ચંિતા કરવામાં આવતી નથી. માત્ર
ભવ્ય કાર્યક્રમો યોજવા અને શું શું વ્યવસ્થા કરવી તેના આદેશો
આપવામાં આવે છે.
ભરત બારોટના હસ્તે વૃક્ષારોપણનો
સામાન્ય કાર્યક્રમ હતો પરંતુ ચાર ગામના લોકોને એકત્ર કરવાની સૂચના
આપવામાં આવી હતી. જેથી વિશાળ સભામંડપ બાંધવાનો કોન્ટ્રાક્ટ
આપવામાં આવ્યો હતો. ઉપરાંત વરસાદની સીઝન હોવાથી તાડપત્રીથી
મંડપ કવર કરવામાં આવ્યો હતો. આ તમામ વ્યવસ્થા ઉભી થઈ રહી હતી ત્યારે
ગ્રામપંચાયતે જિલ્લાના અધિકારીઓ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે આ બધી
તૈયારીઓ કરો છો પરંતુ તેના બિલો પંચાયત ચૂકવશે નહિ. ચાર દિવસ
પહેલા કૃષિ રથ આવ્યો ત્યારે સચિવશ્રી હાજર રહેવાના હોવાથી જિલ્લામાંથી
સૂચના આપવામાં આવી હતી કે કાર્યક્રમ શાનદાર થવો જોઈએ જેથી
પંચાયતે ભારે ખર્ચ કર્યો હતો. હવે મંત્રી આવવાના હોવાથી કાર્યક્રમ
શાનદાર કરવાનો છે પરંતુ પંચાયતને એવી કોઈ જ આવક નથી જેમાંથી
પંચાયત આવા ખર્ચાઓ કરી શકે. આખરે આ તમામ જવાબદારી જિલ્લાના
માર્ગ અને મકાન વિભાગને સોંપવામાં આવી હતી.