મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદરૂપે મૂકાયેલું સ્તોત્ર એ જ વિષ્ણુ શહસ્ત્રનામ સ્તોત્ર. આ સ્તોત્રમાં ભગવાનના હજાર નામોનું વર્ણન છે. વિષ્ણુના હજાર નામનું અર્થઘટન કરતું પુસ્તક શ્રી મકરંદ દવે, સાંઈ દ્વારા પ્રકટ થયું છે. જેમાં દરેક નામની સમજ, અર્થ અપાયો છે.
આ સ્તોત્રમાં ૧૪૪ શ્વ્લોકો છે. (શ્રી સંતરામ મંદિર દ્વારા પ્રકાશિત સ્તોત્રમાં ૧૬૧ શ્વ્લોકો છે. ૧૪૫થી ૧૬૧ શ્વ્લોકો શ્રીકૃષ્ણ-અર્જુન સંવાદ રૂપે છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી કેવું ફળ મળે છે તેનું વર્ણન છે. આ ફળ મેળવવા માટે પણ લોકો આ સ્તોત્રનો પાઠ કરતા થાય, તેવો ઉદ્દેશ છે.)
આ સ્તોત્રને ત્રણ ભાગમાં વહેંચી શકાય. ૧થી ૧૫ શ્વ્લોક ભૂમિકા રૂપે, ૧૬થી ૧૨૨ શ્વ્લોકમાં સહસ્ત્રનામનું વર્ણન અને ૧૨૩થી ૧૪૪ શ્વ્લોકોમાં આ સ્તોત્રનું મહત્ત્વ દર્શાવ્યું છે.
વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો ઘણા લોકો દરરોજ પાઠ કરે છે, તો તેના સામૂહિક પાઠ પણ થઇ રહ્યા છે. તેનો ઉદ્દેશ એક પવિત્ર વાતાવરણ ઊભું કરવાનો છે. તેના દ્વારા ઊભા થતા આંદોલનો, તરંગો પાઠ કરનાર અને સાંભળનારના મસ્તકમાં, હૃદયમાં અનોખી અસર ઊભી કરે છે.
ઉપાસના અથવા ભક્તિ માટેના સાધનોમાં નામ જપ, અખંડ કીર્તન, ભજન સ્તોત્રપાઠ વગેરે છે. આ સાધનોનો યોગ્ય રીતે ઉપયોગ થાય તો તેમાં દર્શાવેલ ફળ અચૂક મળે છે. એવી શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ હોવો જરૂરી છે. ‘‘શ્રુત હરતિ પાપાનિ’’નું સૂત્ર અવશ્ય યાદ રાખવું જોઇએ. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું આટલું મહત્ત્વ કેમ છે, તે વિચારીએ. વેદ એ ઈશ્વરની વાણી છે. ઉપનિષદમાં ઈશ્વરને પ્રાપ્ત કરનાર બ્રહ્મવેત્તાઓની વાણી છે.
મહર્ષિ વેદવ્યાસે વેદોના ચાર વિભાગ કર્યા. તેમણે જ પુરાણો અને મહાભારતની રચના કરી છે. બ્રહ્મસૂત્રની રચના પણ તેમણે કરી છે. શ્રીમદ્ ભાગવતમાં જે અવતારોનું વર્ણન છે, તે અવતારોમાં સત્તરમો અવતાર વેદવ્યાસ છે.’’ તતઃ સપ્તદશે જાતઃ સત્યવત્યાં પરાશરાત્ ચક્રે વેદતરોઃ શાખા દષ્ટવા પુંસોલ્પમેઘસ’’ (ભાગવત ૩/૧૧) મનુષ્યોની ઓછી બુઘ્ધિ જોઇને પરાશરથી સત્યવતીને પેટે જન્મેલા વ્યાસમુનિએ વેદરૂપી વૃક્ષને ચાર શાખાઓ (ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ)માં વિભાજન કર્યું. શ્રીમદ્ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્રનામ મહાભારતના જ અંશો છે, જેના કર્તા વેદવ્યાસ છે. જે ભગવાનનો અવતાર હોઇ, ભગવાનની વાણી છે એટલે જ તો વેદ ઉપનિષદ એ ગીતા અને બ્રહ્મસૂત્રને પ્રસ્થાનમયી કહેવાય છે. ભગવાનની વાણી એ ભગવાનનું જ સ્વરૂપ છે. આ વાત જોતાં વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનું આટલું મહત્ત્વ છે.
વિષ્ણુ સહસ્ત્રનામના ૧૫ શ્વ્લોકોમાં ભગવાન વિષ્ણુની મહત્તાનું વર્ણન છે એટલે જ તેમના સહસ્ત્ર નામનું પઠન ઉપકારી છે. જેમ સુપ્રીમ કોર્ટનો ચુકાદો દરેકે સ્વીકારવો પડે, તેની ટીકા કરનારને કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ પડે છે તો પછી જગતની સર્વોત્તમ કોર્ટ ભગવાનની વાણીનો અનાદર કરવાથી શું થાય તે તો વિચારી જુઓ.
આ સ્તોત્રનો પાઠ કરવાથી અનેક ફળ મળે છે તે તો આનુષંગિક છે. બાય પ્રોડક્ટ છે. પણ મુખ્ય ઉદ્દેશ પણ વિચારીએ
વાસુ દેવાશ્રયોમર્ત્યો વાસુદેવ પરાયણ
સર્વપાપવિશુઘ્ધાત્મા યાતિ બ્રહ્મસનાતનમ્ ।
(શ્રી કૃષ્ણનો આશ્રય લેનાર, વાસુદેવનો આજ્ઞાકારી મનુષ્ય બધા જ પાપમાંથી મુક્ત થઇને બ્રહ્મપ્રાપ્તિ કરે છે. મુક્તિ પ્રાપ્ત કરે છે. આ અંતિમ ફળ છે.
‘‘ન વાસુદેવ ભક્તાનામશુભં વિદ્યતે કવચિત્
જન્મમૃત્યુ જરાવ્યાધિ ભયં નૈવોપજાયતે’’
(શ્રી કૃષ્ણના ભક્તોનું કશું જ અશુભ થતું નથી તેને જન્મ, મરણ, ઘડપણ કે રોગનો ભય થતો નથી)
કારણ કે સમગ્ર જડ, ચેતન એ વાસુદેવનું જ સ્વરૂપ છે. શુભ, અશુભ, પાપ પુણ્ય, બઘું જ વાસુદેવનું જ સ્વરૂપ હોય પછી શુભ અશુભ ક્યાંથી રહે? ઉપનિષદ કહે અન્યં ન પશ્યતિ- બીજું કોઇ છે જ નહીં.
આ સ્તોત્રના પાઠ વખતે મઘ્યમ સ્વરથી, પોતાને શબ્દો સંભળાય તે રીતે, શબ્દોના અર્થનો ખ્યાલ રાખીને, અને ભગવાનનું સ્વરૂપ- મનોમૂર્તિરૂપે દેખાય તેવી રીતે પાઠ થાય તો અવશ્ય ફળ મળે.
આ સ્તોત્રનો પાઠ યોગ્ય રીતે થાય છે કે નહીં તેની કસોટી પણ આ સ્તોત્રમાં આવી છે.
ન ક્રોધો ન ચ માત્સર્ય ન લોભો ના શુભા મતિઃ
ભવન્તિ દતપુણ્યાનાં ભક્તાનાં પુરૂષોત્તમે
ભગવદ્ ભક્તોને ક્રોધ, ઈર્ષ્યા, લોભી, બીજાનું અહિત કરવાની ઈચ્છા રહેતી નથી. કેમ કે તેઓ પુણ્યશાળી છે. સ્તોત્રનાં નિરંતર પાઠ કરતા હોઇએ પણ જો આપણે ક્રોધને વશ થતા હોઇએ, લોભ કે ઈર્ષ્યા થતી હોય અને બીજાનું અહિત કરતા હોઇએ તો આપણો સ્તોત્ર પાઠ માત્ર પોપટિયો પાઠ છે. એ હકીકત સમજવી જોઇએ.
છેવટે મનુષ્યની ધાર્મિક પ્રવૃત્તિઓનું લક્ષ્ય પોતાનામાં ફેરફાર - પરિવર્તનનો છે.
સ્તોત્રનો પાઠ લૌકિક કામનાઓથી ન કરવો જોઇએ. ભગવાનને પ્રસન્ન કરવા માટે જ બઘું કરવું જોઇએ. ભગવાનને પ્રસન્ન કરવાનું સાધન છે ભક્તિ. અને ભગવાન પ્રસન્ન થાય પછી ભલે આખી દુનિયા આપણી વિરુઘ્ધ થઇ જાય. આપણું કોઇ બગાડી શકતું નથી તેવી અટલ શ્રદ્ધા પણ જરૂરી છે.
- બંસીધર પાઠક
|
|