મુંબઈ -
કોલેજની સીટ હજુ સુધી ફાળવવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જાહેર નહીં કરવાનો નિર્ણય શિક્ષણ ખાતાએ અચાનક કરતાં મંગળવારે હજારો વિદ્યાર્થીઓએ તેમને મુશ્કેલીમાં તરછોડવામાં આવ્યા હોવાની લાગણી અનુભવી હતી.
ગયા સપ્તાહે પાંચમું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું તે પછી પણ સીટ મળી ન હોય તેવા ૪,૪૭૯ વિદ્યાર્થીઓ હતા. આમાંના કેટલાક વિદ્યાર્થીઓને તો ૮૯ ટકા જેટલા માર્ક મળ્યા છે. આ સ્થિતિમાં ૩૧મી ઓગસ્ટ સુધીમાં સુધારો કરવાનું વચન સરકારે આપ્યું હતું. એમ કરવાને બદલે અધિકારીઓએ ઓનલાઈન એડમિશન કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય મંગળવારે કર્યો હતો. હવે, સ્પેશિયલ મેરિટ લિસ્ટ જાહેર ન કરાવા સાથે વિદ્યાર્થીઓએ સીધી કોલેજમાં જ અરજી કરવી પડશે.
સૌથી મોટી કરુણતા તો એ છે કે ૧૦મા ધોરણની બોર્ડ પરીક્ષા આપ્યાને છ માસ જેટલો લાંબો સમય પસાર થઈ ગયો હોવા છતાં આ ૪,૪૭૯ વિદ્યાર્થીઓ માટે કઈ જૂનિયર કોલેજમાં એડમિશન મળશે તે અનિશ્ચિતતાનો અંત હજુ આવ્યો નથી. હવે, શિક્ષણ ખાતાએ કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે તેની યાદી બહાર પાડી છે અને આ વિદ્યાર્થીઓએ ફરીથી સીધી કોલેજમાં અરજી કરવી પડશે.
રાજ્ય સરકાર અને આઈસીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ વચ્ચેના અદાલતી જંગને કારણે સમગ્ર એડમિશન કાર્યવાહી અટકી હતી તે ઉપરાંત આ કાર્યવાહીના લગભગ પ્રત્યેક તબક્કે કોઈને કોઈ વિલંબ પણ થયો હતો. સીટ ફાળવવામાં આવી નથી તેવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવા આ સ્પેશ્યલ મેરિટ લિસ્ટ જારી કરવામાં આવનાર હતું નાયબ ડિરેકટર (શાળા શિક્ષણ)ના કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે સોમવારે અમે શિક્ષણ ખાતાના તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ઓન લાઈન એડમિશનની કાર્યવાહી નક્કી કર્યા મુજબ ૩૧મી ઓગસ્ટે બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે કોલેજોમાં ઓફ લાઈન એડમિશન અપાશે.
મંગળવારે, કોઈક ખુલાસો મળશે એ આશામાં હજારો ચિંતિત વિદ્યાર્થીઓ ચર્નીરોડ સ્થિત આ નાયબ ડિરેકટરના કાર્યાલયે ઉમટયા હતા. એસએસસીમાં ૭૫ ટકા લાવનારા વિદ્યાર્થીની માતા નૂરાની પાત્રાવાલાએ કહ્યું હતું કે સ્પેશ્યલ મેરિટ લિસ્ટ રદ થયાનો કોઈ ઉલ્લેખ શિક્ષણ ખાતાની વેબસાઈટ પર કરવામાં આવ્યો નથી. અમે ગભરાટ ન અનુભવીએ એવી અપેક્ષા તેઓ કઈ રીતે રાખી શકે?
-
|