(પી.ટી.આઇ.) વૉશિંગ્ટન,
પાકિસ્તાનના હકાલપટ્ટી કરાયેલા અણુ વૈજ્ઞાાનિક અબ્દુલ કાદિર ખાને જણાવ્યું હતું કે, રશિયા અને અફઘાનિસ્તાનના યુદ્ધ તેમજ તેના પરિણામો અંગે અગાઉથી જ જાણ હોવાના કારણે પશ્ચિમી દેશોએ ૧૯૮૦ના સમયગાળામાં પાકિસ્તાન દ્વારા પરમાણુ હથિયારો બનાવાય તેનો સક્રિય વિરોધ કર્યો નહોતો.
ચોરીછૂપીથી પરમાણુ નેટવર્ક ચલાવવા બદલ અમેરિકાના નિયંત્રણોનો સામનો કરી રહેલા એ.ક્યુ. ખાને જણાવ્યું હતું કે, પશ્ચિમી દેશોને સોવિયેત રશિયાને અફઘાનસિટીમાંથી બહાર કાઢવા માટે પાકિસ્તાનની જરૃર હતી અને તેથી જ તેમણે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ સામે આંખ આડા કાન કર્યા હતા. અફઘાનિસ્તાન યુદ્ધ પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ માટે આશીર્વાદ સમું સાબિત થયું હતું.
ખાને જણાવ્યું હતું કે, અમેરિકા કે બ્રિટનને ૧૯૯૦ સુધી પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમની સ્થિતિ અંગે જાણ નહોતી પણ અફઘાનિસ્તાન યુદ્ધ પૂરું થયા બાદ અમેરિકા અને યુ.કે.એ પાકિસ્તાન પર નિયંત્રણો લાદ્યા હતા. ખાને સી.આઇ.એ.ના વડા લીઓન પેનેટા પર આરોપ મૂક્યો હતો કે, તેઓ 'જૂઠ્ઠા' છે. પાકિસ્તાન હવે અલકાયદાનું વઢું મથક હોવાના પેનેટાના નિવેદન અંગે ખાને આવી પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું હતુ કે પેનેટા તેના વડાઓ અને અગાઉના અધિકારીઓની જેમ જ 'જુઠ્ઠા' છે. પાકિસ્તાનમાં અલ કાયદાનું કોઈ વડું મથક નથી. જો કે અફઘાનિસ્તાનમાં વિદેશી દળોના કારણે પાકિસ્તાનમાં ઘણું અસલામત બની ગયુ હોવાનો દાવો પણ ખાને કર્યો હતો.
પાકિસ્તાનના કલંકિત અણુ વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે, કરોડરજ્જુ વગરના રાજકીય નેતાઓને પરમાણુ શક્તિ ધરાવતા પાકિસ્તાનને એક ભિખારી જેવું રાષ્ટ્ર બનાવી દીધું છે. પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમે પાકિસ્તાનનું અસ્તિત્વ, સલામતીઅને સાર્વભૌમત્વ સુનિશ્ચિત કર્યું છે. ખાને કહ્યું હતું કે, આ અણુ કાર્યક્રમ માટે તેમણે તેમના દેશભક્ત અને સક્ષમ સાથીઓ દ્વારા આપેલા સહયોગ બદલ તેમને ઘણો ગર્વ છે.
|
|