મુંબઈ - શહેરમાં વિવિધ પાણીજન્ય બીમારીના પ્રકોપને લીધે સાર્વજનિક હોસ્પિટલોમાં દરદીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં ખાટલા દરદીથી ભરાઈ જતાં સત્તાવાળા ના છુટકે લોબીમાં ચટાઈ પાથરીને દરદીને હોસ્પિટલમાં સારવાર આપે છે. પણ ગોવંડી સ્થિત મુંબઈ મહાનગરપાલિકાની શતાબ્દી હોસ્પિટલમાં દરદીને સારવાર આપ્યા વગર અન્ય હોસ્પિટલ મોકલી અપાય છે.
ગોવંડીની શતાબ્દી હોસ્પિટલમાં ડોક્ટરોની સંખ્યા ઓછી છે તેમજ આવશ્યક સાધનસામગ્રી અછત અને માળખાકીય સુવિધાનો અભાવ છે. ગોવંડી, માનખુર્દ, ચેમ્બુર, શિવાજીનગર અને ટ્રોમ્બે વિસ્તારના લગભગ આઠ લાખ લોકો વસે છે. આ વિસ્તારના લોકો પાણીજન્ય બીમારીની સારવાર માટે શતાબ્દી હોસ્પિટલમાં જવાને બદલે અન્ય હોસ્પિટલમાં જાય છે. કેટલાક શતાબ્દી હોસ્પિટલમાં દાખલ થયા હોવા છતાં ત્યાં આવશ્યક તબીબ સારવાર ઉપલબ્ધ થઈ શકતી ન હોવાથી ગંભીર કેસને અન્ય હોસ્પિટલમાં ખસેડ્વા પડે છે, એમ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું.
શતાબ્દી હોસ્પિટલમાં ૨૦૦ ખાટલા છે. પરંતુ અહીંં આઠ ડોક્ટર છે. થોડાક વર્ષ પૂર્વે આ હોસ્પિટલનું નૂતનીકરણ કરવાની યોજના પાલિકાએ હાથ ધરી હતી. આ મામલે ટેન્ડર પ્રક્રિયા કરી હતી. પરંતુ પાલિકાએ ફંડના અભાવે ઉક્ત યોજનાને અભરાઈએ ચઢાવી દીધી છે. એમ સ્થાનિક નગરસેવક શશીકાન્ત પાટીલે જણાવ્યું હતું.
ઉક્ત વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય યુવક મંથન જયસ્વાલ મલેરિયાની સારવાર માટે ૧૫ દિવસ પૂર્વે શતાબ્દી હોસ્પિટલમાં આવ્યો હતો. ત્યારબાદ શનિવારે ફરી આ હોસ્પિટલમાં આવતાં તેને પ્રાથમિક સારવાર આપીને ઘાટકોપરની રાજાવાડી અથવા સાયન હોસ્પિટલમાં દાખલ થવાનું ડોક્ટરે દરદીને જાણ કરી હતી. ત્યારે શતાબ્દી હોસ્પિટલમાં દરદીને બીજી હોસ્પિટલમાં ખસેડવાનું પ્રકરણ પ્રકાશમાં આવ્યું હતું.