સુરત -
વરાછાની પરણીતા પર બળાત્કાર ગુજારવાના કેસમાં સંડોવાયેલા આરોપીની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ કે.જે.ઉપાધ્યાયે નકારી કાઢી હતી.
માંગરોળ તાલુકામાં રહેતી ૨૦ વર્ષીય વનવાસી યુવતિએ પોતાના પતિ ગીરધર કુરજી કોરાટ દ્વારા ફરિયાદીની ઈચ્છા વિરુધ્ધ એકથી વધુ પુરુષો સાથે શરીર સંભોગ કરવાની ફરજ પાડીને બળાત્કાર ગુજારાતો હોવાની આક્ષેપ કરતી ફરિયાદ વરાછા પોલીસમાં નોંધાવી હતી. વરાછા પોલીસે કેસમાં સંડોવાયેલા ફરિયાદીના પતિ ગીરધર કોરાટ સહિત અન્ય આરોપીઓની સામુહિક બળાત્કાર આચરવાના ગુનાઈત કારસામાં ધરપકડ કરીને જેલભેગા કર્યા હતા.
આ કેસમાં જેલવાસ ભોગવતા આરોપી સુરેશ જરગલીયાએ દોઢ વર્ષ બાદ મોડી ફરિયાદ કરી હોવા ઉપરાંત આરોપી વિરુધ્ધ પ્રથમ દર્શનીય કેસ ન હોઈ જામીન મુક્તિ માટે માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે હાલના આરોપી વિરુધ્ધ ભોગ બનનનાર વનવાસી પરણીતાની ઈચ્છા વિરુધ્ધ બળાત્કાર ગુજારવાનો પ્રથમ દર્શનીય કેસ છે. જેથી ગંભીર ગુનાના આરોપીના જામીન ન આપવા માંગ કરી હતી.
જેને કોર્ટે મંજુર કરીને આરોપી સુરેશ જરગલીયાની જામીન મુક્તિની માંગ નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ભોગ બનનાર ગર્ભવતી હોવા છતાં તેની સંમતિ વિના બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનો આરોપી વિરુધ્ધ ગંભીર પ્રકારના ગુનાનો આક્ષેપ પ્રથમદર્શનીય છે.