| Last Update : 01-Sept.-2010, Wednesday |
|
|
|
|
|
|
|
 |
|
મુખ્ય પ્રધાન તરીકે સૌથી વઘુ શાસન કરવામાં બીજો નંબર ધરાવતા કૌભાંડી રાજકારણી અરૂણાચલને લૂંટનાર મુખ્ય પ્રધાન જેલમાં |
| અલ્પવિરામ - સુદર્શન ઉપાધ્યાય |
જ્યોતિ બાસુ પછી શાસનના વર્ષોમાં બીજા નંબરે આવતા અપાંગ રાજકારણના લલાટે કાળી ટીલી સમાન છે ઃ પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં ૧૦૦૦ કરોડનો ગોટાળો...
પબ્લીક લીટીગેશન અને આરટીઆઈ ચમત્કાર સર્જે છે ઃ અરૂણાચલમાં
દરેક પક્ષ સાથે તેમણે જોડાણ કર્યું હતું ઃ સૌથી વઘુ કોંગ્રેસમાં રહ્યા ઃ હાલમાં જેલમાં છે...
|
દેશમાં સૌથી વઘુ વર્ષ મુખ્ય પ્રધાન પદે રહેવાનો રેકોર્ડ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન જ્યોતિ બાસુ ધરાવતા હતા. તેમણે ઈજ્જતભેર રાજકીય કારકિર્દી પસાર કરી હતી. મુખ્ય પ્રધાન પદે સૌથી લાંબો સમય રહેનારમાં અરૂણાચલ પ્રદેશના ગીગોંગ અપાંગ બીજા નંબરે આવે છે પરંતુ તેમની રાજકીય યાત્રા પક્ષપલટા વચ્ચે પસાર થઇ હતી અને આજે તે જેલમાં છે. જ્યોતિ બાસુ સફળ હતા. અપાંગ નિષ્ફળ પુરવાર થયા છે. અરૂણાચલ પ્રદેશના એક હજાર કરોડ આ માણસે લૂંટ્યા છે અને આજે જેલમાં પોલીસ રીમાન્ડ હેઠળ છે.
લોકશાહી કેટલી શક્તિશાળી છે તેનું આ ઉદાહરણ છે. એક નાગરિકે રાઈટ ઓફ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ ફરિયાદ કરીને અને પબ્લીક લીટીગેશનના આધારે અરૂણાચલ પ્રદેશમાં સૌથી વઘુ સમય રાજ કરનાર મુખ્ય પ્રધાન અપાંગ જેલના સળીયા ગણતા થઇ ગયા હતા. અરૂણાચલ બહુ નાનું રાજ્ય છે. ચીને તેના સરહદી વિસ્તારો પચાવી પાડ્યા છે એવી આપણી તેના વિશે ઓળખ છે પરંતુ જ્યારે તે રાજ્યનો મુખ્ય પ્રધાન ૧૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં સપડાયા પછી જેલમાં જાય ત્યારે ભારતના ન્યાયતંત્ર પર ડગુમગુ થયેલો ભરોસો ફરી સ્થિર થાય છે. કોઇ એક મુખ્ય પ્રધાન સૌથી વઘુ સમય સત્તા પર રહે એ તેની લોકપ્રિયતાની નિશાની હોઇ શકે પરંતુ પડદા પાછળના તેનો ભ્રષ્ટાચારી ચહેરો જ્યારે પ્રજા સમક્ષ આવે છે ત્યારે તે થૂ-થૂ થઇ જાય છે. હાઈકોર્ટમાં કરેલી પીઆઈએલના સાણસામાં તે આવી ગયા હતા. અરૂણાચલ પ્રદેશમાં તો ગીગોંગ અપાંગ એ રાજકારણનું બીજું નામ હતું. કોઇપણ રાજકીય પક્ષ અપાંગના ટેકા વિના અરૂણાચલમાં સત્તા સુધી પહોંચી શકે એમ નહોતો. પક્ષપલટો કરીને થાકેલા અપાંગે એક તબક્કે અરૂણાચલ કોંગ્રેસ નામનો પ્રાદેશિક પક્ષ પણ ઊભો કર્યો હતો. રાજકીય ગણિતમાં પાવરધા એવા અપાંગ કોંગ્રેસ અને ભાજપના નેતાઓને સત્તાનું ગાજર બતાવીને ફેરવ્યા કરતા હતા.
૧૯૯૫થી ૨૦૦૪ના વર્ષ દરમ્યાન પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં તેમણે ખોટાં હિસાબો અને હિલ ટ્રાન્સપોર્ટ સબસીડીના નામે કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં સેરવી લીધા હતા. કૌભાંડમાં તેમની સાથે ઘણાં લોકો હોય એ સ્વભાવિક છે પરંતુ મૂળ ભેજું અને કૌભાંડકાર મુખ્ય પ્રધાન અપાંગ હતા તે લગભગ સાબિત થઇ ચૂક્યું છે. એક નાનકડા રાજ્યમાં પ્રજાને ફાળવેલા એક હજાર કરોડ રૂપિયા સેરવી લેવાય તે કૌભાંડને માફ ના કરી શકાય.
અરૂણાચલ પ્રદેશ સહિત બીજા પાંચ પર્વતીય રાજ્યોમાં પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન હેઠળ અનાજ લાવતી ટ્રકોને રોડ ટ્રાન્સપોર્ટ સબસિડી અને હીલ ટ્રાન્સપોર્ટ સબસિડી આપવામાં આવે છે. આ સબસિડીમાં કરોડો રૂપિયાના ગોટાળા નજરે પડ્યા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે પ્રજામાં અનાજ વહેંચણીના આંકડા જોવા મળ્યા ત્યારે લોકોની નજર સામે કૌભાંડ આવ્યું હતું. કુરંગ કુમયે જિલ્લામાં વસ્તી ૨,૭૮૪ની છે. રેકોર્ડ અનુસાર ૨૦૦૪ના વર્ષમાં દર મહિને પીઆઈએલ અને આરટીઆઈ એક્ટ કેવું ચમત્કારિક કામ કરે છે તે આ કિસ્સામાં જોવા મળે છે. ગયા ઓકટોબર-૨૦૦૪માં અરૂણાચલ સિટીઝન નામની સંસ્થાના પ્રમુખ બમાંગ એન્થોનીએ અરૂણાચલ પ્રદેશમાં પબ્લીક ડીસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે ચાલતી ગેરરીતિઓ અંગે ગુવાહાટીની કોર્ટમાં પબ્લીક ઈન્ટરેસ્ટ લીટીગેશન નોંધાવી હતી. ત્યાર પછી આ કેસમાં સીબીઆઈની તપાસ પણ માગવામાં આવી હતી. એન એન ઓસિક નામનો અધિકારી ઝપટમાં આવ્યો હતો. આ અધિકારી અન્ન પૂરવઠા ખાતાનો ડાયરેક્ટર હતો. અપાંગના આ કૌભાંડમાં બીજા ૪૦ લોકો છે જેમાં ઓસિક પણ છે. આ લોકોએ ૨૪ કિલો આયોડાઇઝ મીઠું ખાઘું હતું. વ્યક્તિ દીઠ મહિને ૨૪ કિલો મીઠું એ કૌભાંડી આંકડા હતા. એવી જ રીતે ૪,૮૦૦ની વસ્તી ધરાવતા એક ગામે દર મહિને ૩૦૮૦ ક્વિન્ટલ ચોખા ખાધા હતા.
મુખ્ય પ્રધાન પદે સૌથી વઘુ રહેનારાઓમાં બીજો નંબર ધરાવતા અપાંગનો રાજકીય ઈતિહાસ જાણવા જેવો છે. ૨૩ વર્ષે આ માણસે મુખ્ય પ્રધાન પદું મેૈળવ્યું હતું. ૮ જુલાઇ-૧૯૪૯ના રોજ જન્મેલા અપાંગ પ્રથમવાર મુખ્ય પ્રધાન ૧૯૮૦માં બન્યા હતા. અને સતત ૧૯ વર્ષ શાસનમાં રહ્યા હતા. આમ ૩૧ વર્ષે તેઓ મુખ્ય પ્રધાન બન્યાં હતા. ૧૯૯૯માં મુકુત મીથીએ તેમની પાસેથી સત્તા આંચકી હતી પરંતુ ફરી પાછા તે ઓગસ્ટ-૨૦૦૩માં સત્તા પર આવી ગયા હતા. એપ્રિલ-૨૦૦૭માં કોંગ્રેસે દોરજી ખંડુને મુખ્ય પ્રધાન તરીકે નીમવા નિર્ણય કર્યો ત્યાં સુધી તે મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. અપાંગને મૂળભૂત રીતે કોંગીજન કહી શકાય. તેમણે અરૂણાચલ કોંગ્રેસ નામનો પ્રાદેશિક પક્ષ પણ રચ્યો હતો. ૧૯૯૬માં એનડીએ કેન્દ્ર સરકારમાં જોડાઇને તે રાજ્યકક્ષાના પ્રધાન પણ બન્યાં હતા. જોકે તેમના પક્ષમાં ભાગલા પડ્યા હતા અને ૪૧ વિધાનસભ્યો સાથે મુકુલ મીથીએ તેમને ઉથલાવ્યા હતા. પોતાના પક્ષમાં તે એકલા જ વિધાનસભ્ય હતા. ત્યારે તેમણે તમામ પક્ષોને ભેગા કરી સંયુક્ત મોરચો રચી સત્તા મેળવી હતી. જોકે ઉત્તર પૂર્વમાં ભાજપે તેની પ્રથમવાર સરકાર રચી હતી તેમાં અપાંગનો ટેકો હતો. જોકે એનડીએ હારતાં તે ફરી પાછા કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા.
આ માણસને કોંગ્રેસનો કહેવો કે ભાજપનો એ કહેવું મુશ્કેલ છે કેમ કે બંનેના ઘડાનું તેણે પાણી પીઘું છે પરંતુ કોંગ્રેસ સાથે તેઓ વઘુ સમય રહ્યા હતા. આજની તારીખમાં સૌથી વઘુ સમય મુખ્ય પ્રધાન પદે રહેલા જીવતા લોકોમાં તેમનું નામ પ્રથમ નંબર આવે છે. જોકે જ્યોતિ બાસુ આ બાબતે પ્રથમ નંબરે હતા અને ભ્રષ્ટાચાર વિહોણુ શાસન ચલાવતા હતા. તેમની વિદાય પછી પશ્ચિમ બંગાળમાં ડાબેરી શાસનના ૩૫ વર્ષનો અંત દેખાઇ રહ્યો છે. માત્ર પશ્ચિમ બંગાળના શાસનનો નહીં પણ સીપીઆઈ (એમ)ના રાજકીય સાંધા ઢીલા થઇ ગયા છે. જ્યોતિ બાસુની સ્વચ્છ ઈમેજ હતી. હકીકતે તો અપાંગની સરખામણી જ્યોતિ બાસુ સાથે લગ્ગીરેય થઇ શકે એમ નથી. કેમકે બંનેની રાજકીય કારકિર્દીનો ગ્રાફ વિરૂઘ્ધ દિશામાં જતો હતો. અપાંગ એ રાજકીય ભ્રષ્ટાચારના પ્રતિક સમાન બની ગયા છે. તેમની સામેના આક્ષેપો પુરવાર થશે ત્યારે તેમને લાંબો સમય જેલની હવા ખાવાનો સમય આવશે. અપાંગ જેવાઓ મુખ્ય પ્રધાન પદું લજવતા હોય છે. કોઇ મુખ્ય પ્રધાન સામે હજાર કરોડના ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી. ભારતના રાજકારણના લલાટે અપાંગ કાળી ટીલી સમાન બની જશે.
|
|
|
|
|
|
|
|
|
|
|
| |
| |
|
|
|
|
| |